જામનગર શહેરમાં રણજિતનગર વિસ્તારમાં આવેલા ક્વાર્ટરમાં રહેતાં મહિલા તેણીના ઘરે દીવાબત્તી કરતા હતા. તે દરમ્યાન ગાઉનમાં આગ લાગતા દાઝી જવાથી મોત નિપજયું હતું.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના રણજિતનગર વિસ્તારમાં આવેલા ક્વાર્ટરમાં એમ-5 બ્લોકમાં રહેતાં શ્રદ્ધાબેન નૈષધભાઇ આહિયા (ઉ.વ.35) નામના મહિલા ગત્ તા. 21ના રોજ સાંજના સાત વાગ્યાના અરસામાં તેણીના ઘરે દીવાબત્તી કરતા હતા. તે દરમ્યાન પહેરેલ ગાઉનમાં આગની જ્વાળા અડકી જતાં આગ લાગતાં શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. ત્યારબાદ મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું ગુરૂવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના પતિ નૈષધ દ્વારા જાણ કરાતા હે.કો. એચ. એ. પરમાર તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી આદરી હતી.


