જામનગરમાં ગઇકાલે રાજકોટ રેન્જ આઇજીની મુલાકાત અને ક્રાઇમ કોન્ફરન્સ બાદ શહેરના અમુક વિસ્તારોમાં નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ પોલીસે ગત રાત્રિના ખાટકીવાડ પાસે આવેલી 72 જેટલા ગેરકાયદેસર રૂમોની ઇમારત તોડી પાડવા કાર્યવાહી હાથ ધરી હતી.

રાજકોટ રેન્જ આઇજી તરીકે કર્તવ્યનિષ્ઠ નિર્લિપ્ત રાય ગઇકાલ બુધવારે જામનગરની મુલાકાત અને નિરીક્ષણ માટે આવ્યાં હતાં. જામનગરના પોલીસવડાની ઓફિસે આગમન થયા બાદ એસપી ડો. રવિ મોહન સૈની દ્વારા સ્વાગત કરાયું હતું. ત્યારબાદ આઇજીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ આઇજી જિલ્લાના એએસપી, ડીવાયએસપી તથા પોલીસ ઇન્સ્પેક્ટર સહિતના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને સ્થાનિક આગેવાનો સાથે પણ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સમિક્ષા કરી હતી. બાદમાં રેન્જ આઇજીએ ક્રાઇમ કોન્ફરન્સ દ્વારા જિલ્લામાં થતાં ગુનાઓ અને પોલીસની કામગીરી અંગેની સંપૂર્ણ વિગતો મેળવી હતી. સાંજના સમયે રેન્જ આઇજી નિર્લિપ્ત રાય તથા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈની, એએસપી પ્રતિભા, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, વી. કે. પંડયા, મીત રૂદલાલ સહિતના અધિકારીઓ સાથે શહેરના પટ્ટણીવાડ, દિગ્જામ સર્કલ સહિતના વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું.
View this post on Instagram
રેન્જ આઇજીની મુલાકાત અને નિરીક્ષણ બાદ ગણતરીના કલાકોમાં જ જામનગર શહેરના ધુંવાવ નાકા પાસે આવેલા ખાટકીવાડ વિસ્તારમાં 72 જેટલા ગેરકાયદેસર રૂમોની ખડકાયેલી ઇમારત તોડી પાડવા યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. રેન્જ આઇજીની મુલાકાત બાદ જામનગર શહેર અને જિલ્લા પોલીસ એકશનમાં આવી ગઇ છે.


