Tuesday, March 24, 2026
Homeરાજ્યજામનગરજામનગરની આઇટીઆઇ રાજ્યમાં તૃતિયક્રમે વિજેતા

જામનગરની આઇટીઆઇ રાજ્યમાં તૃતિયક્રમે વિજેતા

રાજકોટ વિભાગ હેઠળની 99 સંસ્થાઓમાં જામનગર પ્રથમ: શ્રેષ્ઠ કામગીરી બદલ રાજ્ય સરકાર દ્વારા રૂ. 5 લાખનું અનુદાન પ્રાપ્ત થયું : શૈક્ષણિક ગુણવત્તા, પ્લેસમેન્ટ અને સામાજિક પ્રવૃત્તિઓના 30 માપદંડોમાં જામનગર આઈ.ટી.આઈ.એ 150માંથી 127 ગુણ મેળવી જામનગરનું ગૌરવ વધાર્યું

જામનગરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાએ ગુજરાત રાજ્યની કુલ 550 આઈ.ટી.આઈ. વચ્ચે યોજાયેલી શ્રેષ્ઠત્તમ સંસ્થાની સ્પર્ધામાં રાજ્યકક્ષાએ તૃતીય સ્થાન પ્રાપ્ત કરીને જામનગરનું ગૌરવ વધાર્યું છે. ગુજરાત સરકારના શ્રમ અને રોજગાર વિભાગ હેઠળ કાર્યરત રાજકોટ, અમદાવાદ, સુરત અને વડોદરા એમ ચાર વિભાગોની કુલ 550 સંસ્થાઓમાંથી જામનગર આઈ.ટી.આઈ.એ આ સિદ્ધિ હાંસલ કરી છે. આ સ્પર્ધાના પ્રથમ તબક્કે રાજકોટ વિભાગની કુલ 99 આઈ.ટી.આઈ. માંથી જામનગરની સંસ્થા પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થઈ હતી, ત્યારબાદ રાજ્યની પસંદ થયેલી શ્રેષ્ઠ 12 સંસ્થાઓ વચ્ચેની આખરી સ્પર્ધામાં જામનગરે સમગ્ર રાજ્યમાં ત્રીજું સ્થાન મેળવ્યું છે. આ ભવ્ય સફળતા બદલ રાજ્ય સરકાર દ્વારા સંસ્થાને પ્રોત્સાહન રૂપે રૂપિયા પાંચ લાખનું અનુદાન પણ એનાયત કરવામાં આવ્યું છે.

- Advertisement -

શ્રેષ્ઠ આઈ.ટી.આઈ.ની પસંદગી માટે કુલ 30 જેટલા વિવિધ કઠિન માપદંડો નિર્ધારિત કરવામાં આવ્યા હતા, જેમાં સંસ્થાની સફાઈ, તાલીમની ગુણવત્તા, ઓન જોબ ટ્રેનિંગ, એફિલેશન, ડ્યુઅલ સિસ્ટમ ઓફ ટ્રેનિંગ અને તાલીમાર્થીઓના પાસ આઉટ રેશિયો જેવી બાબતોનો સમાવેશ થાય છે. આ તમામ પાસાઓમાં 150 ગુણમાંથી 127 ગુણ મેળવીને જામનગર આઈ.ટી.આઈ.એ ઉત્કૃષ્ટ દેખાવ કર્યો છે. સંસ્થા દ્વારા માત્ર પુસ્તકીય જ્ઞાન જ નહીં પરંતુ તાલીમાર્થીઓના સર્વાંગી વિકાસ માટે થેલેસેમીયા ટેસ્ટ, બ્લડ ડોનેશન કેમ્પ, કેન્સર અવેરનેસ સેમિનાર, વૃક્ષારોપણ અને વિવિધ ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ જેવા રચનાત્મક કાર્યક્રમોનું સતત આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત પર્યાવરણ જાગૃતિ માટે ગીર, નરારા અને પોલો ફોરેસ્ટમાં શૈક્ષણિક શિબિરો તેમજ ફાયર સેફ્ટી અને સિવિલ ડિફેન્સની તાલીમ પણ આપવામાં આવી હતી.

વર્તમાન સમયની ઔદ્યોગિક જરૂરિયાતોને ધ્યાને રાખીને જામનગરની આ સંસ્થામાં વિવિધ ઉદ્યોગોના સામાજિક દાયિત્વ હેઠળ ઇલેક્ટ્રિક વાહનો, ઔદ્યોગિક ઓટોમેશન, પ્લમ્બિંગ અને ઓટોમોબાઇલ લેબ ડેવલપમેન્ટના આધુનિક પ્રોજેક્ટ્સ પર કાર્ય ચાલી રહ્યું છે. સંસ્થાના આચાર્ય અને તમામ કર્મચારીગણના સહિયારા પુરુષાર્થ તેમજ તાલીમાર્થીઓની મહેનતને રોજગાર અને તાલીમ વિભાગના નિયામક દ્વારા પણ બિરદાવવામાં આવી છે. જામનગર આઈ.ટી.આઈ.ની આ સફળતા જિલ્લાના યુવાનો માટે ટેકનિકલ શિક્ષણ ક્ષેત્રે નવા દ્વાર ખોલનારી સાબિત થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular