યાત્રાધામ દ્વારકા પવિત્ર નગરીમાં ફાગળી પૂનમ એટલે કે હોળી નિમિત્તે ઉજવાતા ફૂલડોલ મહોત્સવને લઈ ભારે ધાર્મિક ઉમંગ અને શ્રદ્ધાનો માહોલ છવાયો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ દેશના વિવિધ રાજ્યોમાંથી લાખોની સંખ્યામાં ભક્તો અને પદયાત્રીઓ ફૂલડોલ ઉત્સવના રંગે રંગાવા અને ભગવાનના દર્શનાર્થે દ્વારકા ધામે ઉમટી રહ્યા છે. વર્ષ પ્રતિ વર્ષ ભક્તોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થતો જોવા મળે છે અને આ વર્ષે પણ વિશાળ ભીડની શક્યતા વચ્ચે જિલ્લા પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ફૂલડોલ મહોત્સવ અને હોળી ઉત્સવ દરમિયાન ભક્તોને કોઈપણ પ્રકારની અસુવિધા ન થાય અને શાંતિપૂર્ણ માહોલમાં તેઓ દર્શન કરી શકે તે માટે દ્વારકા જિલ્લા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે. આ વર્ષે સુરક્ષા વ્યવસ્થામાં એક એસપી, પાંચ ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિતના પોલીસ અધિકારીઓ અને જવાનો ફરજ પર રહેશે. જિલ્લામાં કુલ અંદાજે 1500 જેટલા પોલીસ કર્મચારીઓની તૈનાતી કરવામાં આવી છે.
આ ઉપરાંત હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ (GRD) તેમજ વિવિધ એનજીઓના સ્વયંસેવકોની મદદ પણ લેવામાં આવી રહી છે, જેથી ભક્તોને માર્ગદર્શન, ટ્રાફિક વ્યવસ્થા અને લાઈન મેનેજમેન્ટમાં સહાય મળી શકે. મંદિર પ્રવેશદ્વારો પર SRP ની ટુકડીઓ પણ તૈનાત રહેશે, જેથી ભીડ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે.
મંદિર પરિસર અને આસપાસના વિસ્તારોમાં ચાંપતી નજર રાખવા માટે ખૂણે ખૂણે પોલીસ જવાનો મુકવામાં આવ્યા છે. દર્શન માટે બનાવવામાં આવેલી લાઈનોમાં પણ પોલીસ સ્ટાફ ફરજ બજાવશે, જેથી ભક્તોને સરળતાથી અને સુવ્યવસ્થિત રીતે દર્શન થઈ શકે. વિશાળ જનમેદનીને ધ્યાનમાં રાખીને ટ્રાફિક નિયંત્રણ, પાર્કિંગ વ્યવસ્થા અને ઈમરજન્સી સેવાઓ માટે પણ આગોતરા આયોજન કરવામાં આવ્યું છે.
View this post on Instagram
આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરતા પોલીસ તંત્ર દ્વારા મંદિર તથા આસપાસના વિસ્તારોમાં મોનિટરિંગ માટે ખાસ ડ્રોનની વ્યવસ્થા કરવામાં આવી છે. ડ્રોન કેમેરાની મદદથી ઉચ્ચ અધિકારીઓ રિયલ ટાઈમ દેખરેખ રાખી શકશે અને કોઈપણ અનિચ્છનીય પરિસ્થિતિ ઊભી થાય તો તાત્કાલિક કાર્યવાહી કરી શકાશે.
ફૂલડોલ મહોત્સવને લઈ સમગ્ર દ્વારકા શહેર ભક્તિમય વાતાવરણમાં રંગાયું છે, ત્યારે પોલીસ તંત્રની ચુસ્ત અને સુવ્યવસ્થિત કામગીરી ભક્તોને સુરક્ષિત અને સુખદ અનુભવ અપાવશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
યાત્રાધામ જગત મંદિર દ્વારકાધીશ ખાતે સુરક્ષાની કડક વ્યવસ્થા વચ્ચે માનવતાનો સુંદર સ્પર્શ પણ જોવા મળે છે. મંદિર પરિસરમાં ફરજ બજાવતા પોલીસના જવાનો માત્ર કાયદો અને વ્યવસ્થા જાળવવામાં જ નહીં, પરંતુ અહીં આવતા હજારો દર્શનાર્થીઓને સહયોગ અને માર્ગદર્શન આપવામાં પણ સક્રિય રહે છે.
મંદિરની સુરક્ષા પર તૈનાત પી.આઈ. સહિતના પોલીસ અધિકારીઓ અને જવાનો સતત સીસીટીવી મોનિટરિંગ, ભીડ નિયંત્રણ અને શાંતિ જાળવવાની જવાબદારી નિભાવે છે. સાથે સાથે તેઓ ખાસ કરીને મોટી ઉંમરના વડીલ દર્શનાર્થીઓ, દિવ્યાંગ ભક્તો અને નાના બાળકો સાથે આવેલા પરિવારજનોને સરળતાથી અને સુરક્ષિત રીતે દર્શન થઈ શકે તે માટે વ્યક્તિગત રીતે મદદરૂપ બને છે.
ઘણા પ્રસંગે પોલીસ જવાનો વડીલોને લાઈનમાં આગળ લઈ જવામાં સહકાર આપે છે, જરૂર પડે ત્યાં વ્હીલચેર અથવા બેસવાની વ્યવસ્થા તરફ માર્ગદર્શન આપે છે અને ભીડભાડમાં કોઈ મુશ્કેલી ન પડે તે માટે સાવચેત રહે છે. બહારથી આવતા શ્રદ્ધાળુઓને મંદિરનો માર્ગ બતાવવો, પાર્કિંગ, પ્રસારણ વ્યવસ્થા અને સુરક્ષા સંબંધિત માહિતી આપવી જેવી સેવાઓ પણ તેઓ નિષ્ઠાપૂર્વક બજાવે છે.
આ રીતે, દ્વારકા મંદિર ખાતે પોલીસ વિભાગ માત્ર સુરક્ષા જ નહીં પરંતુ સેવા અને સંવેદનાની ભાવનાથી પણ પોતાની ફરજ અદા કરી રહ્યો છે, જેનાથી દર્શનાર્થીઓમાં વિશ્વાસ અને સંતોષની લાગણી વધુ મજબૂત બની રહી છે.


