જામનગર શહેર હવે માત્ર ક્રિકેટથી જ નહીં, પરંતુ અન્ય રમતોમાં પણ દેશભરમાં પોતાનું સ્થાન બનાવી રહ્યું છે. શહેરના યુવા ખેલાડીઓ રમતજગતમાં નવી ઊંચાઈ સર કરી રહ્યા છે. ખાસ કરીને બાસ્કેટબોલની રમતમા જામનગરના ખેલાડીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શહેર અને ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યુ છે.
તાજેતરમાં જામનગરની ઉંઉઇઅ એકેડેમીના બે પ્રતિભાશાળી ખેલાડીઓ દિયા સોનગરા અને હિમાલય વારોતરિયાની પસંદગી ગુજરાત રાજ્યની અંડર-14 બાસ્કેટબોલ ટીમમાં કરવામાં આવી છે. બંને ખેલાડીઓએ દેહરાદૂન ખાતે તા. 4 થી 10 ઓક્ટોબર 2025 દરમિયાન યોજાયેલી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લઈ, સારું પ્રદર્શન કરી જામનગર અને ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું છે. ગુજરાતની ટીમમાં સ્થાન મળતા અને રાષ્ટ્રીય કક્ષાએ રમવાની તક મળતા જામનગરના ખેલાડીઓ ખુશી વ્યકત કરતા જણાવ્યુ કે રાષ્ટ્રીય કક્ષાએ સારૂ પ્રદર્શન કરીને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતની બાસ્કેટબોલની ટીમને વિશ્વ વિજેતા બનાવીને ભારતને બાસ્કેટ બોલની રમતમાં આગવી ઓળખ અને સ્થાન આપવાની મહત્વાકાંંક્ષા ખેલાડીઓએ વ્યકત કરી છે. દિયા સોનગરાએ જણાવ્યુ કે ભારતીય વુમન્સ ટીમ ક્રિકેટ વલ્ડકપ જીતી શકે તેવી રીતે બાસ્કેટ બોલમાં ભારતીય ટીમ આગળ રહે તેવુ સપનુ છે.
View this post on Instagram
આ પહેલા વર્ષ 2024માં પણ ઉંઉઇઅ એકેડેમીના ખેલાડી વિહાન બદિયાણીની પસંદગી ગુજરાતની અંડર-14 ટીમમાં થઈ હતી. તેમણે છત્તીસગઢના રાજનંદગાંવ અને હૈદરાબાદ ખાતે યોજાયેલી રાષ્ટ્રીય ચેમ્પિયનશિપમાં ભાગ લઈને નોંધપાત્ર પ્રદર્શન કર્યુ હતું. સતત ત્રણ વર્ષથી જામનગરના ખેલાડીઓ રાષ્ટ્રીય કક્ષાએ સ્થાન મેળવી રહ્યા છે, જે શહેર માટે ગૌરવની વાત છે.
રાજ્ય કક્ષાના કેમ્પથી રાષ્ટ્રીય મંચ સુધીની સફર
મે 2025માં જામનગરમાં યોજાયેલી અંડર-14 રાજ્ય કક્ષાની બાસ્કેટબોલ સ્પર્ધા દરમિયાન સમગ્ર ગુજરાતમાંથી 20 બોયઝ અને 20 ગર્લ્સની પસંદગી નેશનલ ચેમ્પિયનશિપ માટે કરવામાં આવી હતી.ત્યારબાદ 19 થી 30 સપ્ટેમ્બર 2025 દરમિયાન જામનગરમાં પહેલી વાર નેશનલ કોચિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ગુજરાતના વિવિધ જિલ્લાઓના ખેલાડીઓએ ભાગ લીધો હતો. અંતે 12 બોયઝ અને 12 ગર્લ્સની પસંદગી ગુજરાત રાજ્યની ટીમ માટે કરવામાં આવી, જેમાં જામનગરના ખેલાડીઓએ પોતાનું સ્થાન બનાવ્યું હતું.
દેહરાદૂનમાં યોજાયેલી અંડર-14 રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ દરમિયાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (જઅૠ) તરફથી પ્રકાશ પાણખાણીયા અને સંજય ઠાકોર કોચ તરીકે જોડાયા હતા. જામનગરની ઉંઉઇઅ એકેડેમી તરફથી કોચ નિશિત ઠાકર અને મેનેજર આદિત્યસિંહ જેઠવા ગુજરાતની ટીમ સાથે જોડાયા હતા. કોચ નિશિત ઠાકરએ અગાઉ પણ એપ્રિલ 2024માં પોંડિચેરી ખાતે યોજાયેલી અંડર-17 અને ડિસેમ્બર 2024માં હૈદરાબાદ ખાતે યોજાયેલી અંડર-14 નેશનલ ચેમ્પિયનશિપમાં ગુજરાતની ટીમના કોચ તરીકે સેવા આપી હતી.
તેમના માર્ગદર્શન હેઠળ અનેક યુવા ખેલાડીઓએ પોતાનું સર્વોત્તમ પ્રદર્શન આપી જામનગર અને ગુજરાતનું ગૌરવ વધાર્યું છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં જામનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત (જઅૠ) દ્વારા બાસ્કેટબોલના મેદાન અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જામનગર જીલ્લા બાસ્કેટબોલ એસોસિએશન દ્વારા જૂન 2022થી રાષ્ટ્રીય કક્ષાના કોચ દ્વારા તાલીમ આપવામાં આવી રહી છે. હાલમાં 60થી વધુ ખેલાડીઓ નિયમિત રીતે તાલીમ લઈ રહ્યા છે, જ્યારે છેલ્લા ત્રણ વર્ષમાં 400થી વધુ ખેલાડીઓએ રાજ્ય, રાષ્ટ્રીય અને યુનિવર્સિટી કક્ષાની ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે.
આ પ્રયાસો જામનગરમાં બાસ્કેટબોલની લોકપ્રિયતા અને પ્રતિભાશાળી ખેલાડીઓના વિકાસમાં મહત્વપૂર્ણ સાબિત થયા છે. જામનગર જીલ્લા બાસ્કેટબોલ એસોસિએશનના અધ્યક્ષ અને સભ્યો સાથે સાથે કોચિસ તથા ખેલાડીઓના વાલીઓએ આ સિદ્ધિ પર આનંદ અને ગર્વ વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે જામનગરના બાળકો હવે માત્ર રાજ્ય સુધી સીમિત નથી રહ્યા, તેઓ રાષ્ટ્રીય મંચ પર શહેરનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે, જે દરેક જામનગરી માટે ગૌરવની વાત છે. એસોસિએશને ખેલાડીઓને શુભેચ્છા પાઠવી અને આગામી સમયમાં પણ વધુ ખેલાડીઓ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે શહેરનું નામ રોશન કરે તેવી શુભેચ્છા વ્યક્ત કરી. જામનગરમાં રમતગમતના ક્ષેત્રે ચાલી રહેલા આ પ્રયાસો અને યુવા પ્રતિભાઓના ઉદયને જોતા સ્પષ્ટ છે કે, હવે જામનગર માત્ર બિઝનેસ સિટી નહીં પરંતુ સ્પોર્ટ્સ સિટી તરીકે પણ પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે.


