વાહનચાલકોને તેમના વાહનને લગતા ચલણ વોટ્સએપ સહિતના સોશિયલ મીડિયા દ્વારા ક્યારેય મોકલવામાં આવતા નથી
જામનગર જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી એ નાગરિકોને વોટ્સએપ અને અન્ય સોશિયલ મીડિયા દ્વારા મળતા RTO ઈ-ચલણ અથવા અજાણી APK ફાઈલો ખોલવા સામે સાવચેત રહેવા અપીલ કરી છે. આર.ટી.ઓ. દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાહનચાલકોને તેમના વાહનને લગતા ચલણ સોશિયલ મીડિયા જેમ કે વોટ્સએપ દ્વારા ક્યારેય મોકલવામાં આવતા નથી. જો તમને આવા કોઈ મેસેજ મળે, તો તે સંપૂર્ણપણે ફેક છે અને તેનો RTO સાથે કોઈ સંબંધ હોતો નથી.
આવી નકલી સાઇટ-લિંક ખોલવાથી ભારે આર્થિક નુકસાન થઈ શકે છે, કારણ કે તેને ખોલતાની સાથે જ તમારા બેન્ક ખાતામાંથી બધા જ રૂપિયા ઉપડી જવાની શક્યતા રહે છે. તેથી, સોશિયલ મીડિયાના માધ્યમથી આવતી કોઈપણ RTO કે E-Challan ને લગતી APK કે Unknown File ક્યારેય ખોલવી નહીં. RTO કચેરી દ્વારા આવા કોઈ પણ પ્રકારના ચલણ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલવામાં આવતા નથી. જામનગર જિલ્લા પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા નાગરિકોને આવા સાયબર ફ્રોડથી બચવા માટે જાગૃત અને સાવચેત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.


