જામનગરના મોટા થાવરિયામાં જમીન મામલે થયેલ ડખ્ખામાં ગયેલ પોલીસની ફરજમાં રૂકાવટ કરી ત્રણ શખ્સએ પીઆઇ તથા પીએસઆઇને ધમકી આપ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે. પોલીસની કાયદેસરની ફરજમાં રૂકાવટ કર્યા અંગે ત્રણ શખ્સો વિરૂઘ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ અને આરોપીઓની ધરપકડ માટે પોલીસ દ્વારા તજવીજ હાથ ધરવામાં આવી છે.
બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના મોટાથાવરીયા ગામે રહેતા ખેડૂત કાનજી બાબુ સંઘાણીએ ફોન કરી પંચકોશી પોલીસ દફતરને જાણ કરી હતી કે, ત્રણ શખ્સો આવીને પોતાની વાડીમાં ઝઘડો કરે છે. જેને લઇને સૌપ્રથમ પીએસઆઇ એ.આર. પરમાર સહીતનો સ્ટાફ મોટાથાવરીયા ગામે પહોંચ્યો હતો. જ્યાં લાલપુરમાં રહેતો જીતેશ ઉર્ફે જીતુ ચનાભાઇ ચાવડા નામનો શખ્સ કાલાવડ તાલકુાના ખાનકોટડા ગામના ઇમ્તીયાઝશા અબ્દુલશા શાહમદાર અને દિગ્વિજ્યસિંહ મહાવીરસિંહ જાડેજા નામના બે શખ્સો સાથે હતો.
આ દરમિયાન ત્યાં હાજર જીતેશે પીએસઆઇ સામે વાણીવિલાસ કરીને એટ્રોસિટી અંગે ફરિયાદની ધમકી આપી હતી. આ અંગે પીએસઆઇ પરમારે પોતાના પોલીસ મથકના પીઆઇ એન.એમ. શેખને જાણ કરતાં તેઓ પણ મોટાથાવરીયા ગામે પહોંચ્યા હતાં.
જ્યાં જીતેશે પીઆઇ સાથે પણ વાણિવિલાસણ આચરી એસ્ટ્રોસિટીની ફરીયાદ કરવાની ધમકી આપતા પોલીસ ટીમે ત્રણેય વ્યક્તિને ડિટેઇન કરી લીધા હતાં અને પંચકોશી-એ ડિવિઝન પોલીસ મથકમાં લઇ જવાયા બાદ ત્રણેય સામે પીઆઇ એન.એમ. શેખ જાતે ફરિયાદી બન્યા હતાં અને તેઓ સામે પોલીસની ફરજમાં રુકાવટ સહીતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


