જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતાં યુવાનને અગાઉ થયેલા ઝઘડાનું મનદુ:ખ રાખી ચાર શખ્સોએ એકસંપ કરી યુવાનના ઘરનો દરવાજો તોડી લોખંડના પાઈપ અને લાકડાના ધોકા તથા દાંતરડા વડે હુમલો કરી યુવાનના બાઈકમાં નુકસાન કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
બનાવ અંગેની વિગત મુજબ જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં રહેતા અને કલરકામ કરતા બિપીનભાઈ કરશનદાસ દાણીધાર નામના પ્રૌઢના પુત્ર પુનિતને ચૈત્રી રામનવમીના તહેવાર દરમિયાન સાધના કોલોનીના હર્ષ ઉર્ફે ટકો પરેશ મહેતા સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડાનું મનદુ:ખ રાખી રવિવારના સાંજે હર્ષ ઉર્ફે ટકો પરેશ મહેતા, મુકેશ સિંધી, દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલો ડોન ચૌહાણ અને અજય બરછા નામના ચાર શખ્સોએ એકસંપ કરી પુનીતના ઘરમાં લાકડાનો મુખ્ય દરવાજો તોડીને ઘરમાં પ્રવેશ કરી પુનિતના પિતા બિપીનભાઈને ઘરની બહાર ખેંચી કાઢી લોખંડના પાઈપ વડે હુમલો કરતા નીચે પડી ગયા હતાં તેમજ ઢીકાપાટુનો અને લાકડાના ધોકા વડે આડેધડ માર માર્યો હતો. ઉપરાંત દિવ્યરાજસિંહ ઉર્ફે દિવલાએ દાંતરડા વડે હુમલો કર્યો હતો.
તેમજ હર્ષ તથા અજય એ પાઈપ અને ધોકા વડે પ્રૌઢની જીજે-10-એએચ-9307 નંબરની પાર્ક કરેલી બાઈકમાં તોડફોડ કરી 2000 નું નુકસાન પહોંચાડયું હતું. ચારેય શખ્સોએ પ્રૌઢ ઉપર હુમલો કરી બાઇકમાં તોડફોડ કર્યા બાદ નાશી ગયાં હતાં. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવની જાણ થતા પીએસઆઈ ટી.ડી.બુડાસણા તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી શોધખોળ આરંભી હતી.