જામનગરમાં તિરૂપતિ સોસાયટીમાં યુવાન ઉપર તેના જ મિત્રએ ખોટી શંકા કરી ઘરમાં કેમ દખલગીરી કરશ? તેમ કહી લોખંડના પાઇપ વડે આડેધડ માર મારી હુમલો કર્યો હતો.
બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં તિરૂપતિ પાર્ક-2, શેરી નંબર 3-ડી, મકાન નંબર 237/3માં રહેતાં રીઝવાન ઈશરારખાન પઠાણ (ઉ.વ.28) નામના યુવાનના મિત્ર સોહિલ પત્તાણીની પત્નીએ રીઝવાનને ફોન કરીને સોહિલ કોઇ નશાની લતે કે આડા રસ્તે ચઢી ગયો છે કે કેમ? તે બાબતની પૂછપરછ કરી હતી. જે અંગેની જાણ રીઝવાને તેના મિત્ર સોહિલ હાજી પતાણીને કરી હતી. જેથી સોહિલે રીઝવાન ઉપર ખોટી શંકા કરી તું મારા ઘરમાં કેમ દખલગીરી કરશ? તેમ કહી જેમ ફાવે તેમ ગાળો કાઢી લોખંડના પાઇપ તથા છરી વડે માર મારી ઇજા પહોંચાડી હતી. હુમલામાં ઘવાયેલા રીઝવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે એએસઆઇ એસ. એમ. જાડેજા તથા સ્ટાફએ સોહિલ પત્તાણી વિરૂદ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


