જામનગર શહેરના પંચેશ્વર ટાવર પાસેના વિસ્તારમાં રહેતાં પ્રૌઢ તેના ઘરે સિડી ઉતરતાં સમયે પગ લપસી જતાં નીચે પટકાતાં જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.

આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં પંચેશ્ર્વર ટાવર પાસે મહાદેવના મંદિરવાળી શેરીમાં રાવલ ફળીમાં રહેતાં ધીરેનભાઇ પ્રવીણચંદ્ર રાવલ (ઉ.વ. 54) નામના પ્રૌઢ ગત્ તા. 19ના રોજ સવારના સાત વાગ્યાના અરસામાં તેના ઘરમાં ઉપરના માળેથી સિડીઓ ઉતરતા હતાં. તે દરમ્યાન અચાનક પગ લપસી જતાં સિડીઓ ઉપરથી નીચે પટકાતા શરીરે અને કપાળમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત પ્રૌઢને 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સોમવારની રાત્રિના સમયે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગે મૃતકના ભાઇ હસમુખ દ્વારા જાણ કરાતાં એએસઆઇ આર. એ. જાડેજા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


