જામનગર શહેરમાં ટી પી સ્કીમ અંતર્ગત ગાર્ડન માટેના અનામત છ પ્લોટ અર્બન ફોરેસ્ટ માટે વન વિભાગને આપવાનો નિર્ણય જામ્યુકોની સ્થાયી સમિતિમાં કરવામાં આવ્યો છે. જ્યારે જોગસપાર્કમાં ડેવલોપર્સ માટે 28 લાખનું ખર્ચ જામ્યુકો દ્વારા કરવામાં આવ્યું છે. ચેરમેન નિલેશભાઈ કગથરાના અધ્યક્ષસ્થાને યોજાયેલી જામ્યુકોની સ્થાયી સમિતિની બેઠકમાં શહેરમાં કુલ રૂા.15.26 કરોડના જુદા જુદા વિકાસ ખર્ચને બહાલી આપવામાં આવી હતી. સ્થાયી સમિતિની બેઠકમાં સીટી બ્યુટિફિકેશન અંતર્ગત કરવામાં આવેલા કામોના 46 લાખથી વધુના ખર્ચને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત જામનગર શહેરમાં પ્રવેશવાના તેમજ શહેરમાંથી બહાર જવાના જુદા જુદા વિસ્તારના માર્ગો પર દિશાસુચક સાઈન બોર્ડ મૂકવા માટે રૂા.20 લાખનું ખર્ચ મંજૂર કરવામાં આવ્યું છે. ફાયર શાખા માટે મીની રેસ્કયુ વાહન ખરીદવા 1.68 કરોડનું ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત શહેરના તમામ 1 થી 16 વોર્ડમાં સ્ટ્રીટલાઈટની જાળવણી અને મરામતનું કામ કરવા માટે ઈઇએસએલ કંપનીને રૂા.52.48 લાખનું ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યું હતું. જ્યારે ઈ-ગર્વનન્સ સોલ્યુસનના 2025- કે 2030 સુધીના કામ માટે કુલ રૂા.3.70 લાખના ખર્ચને સ્થાયી સમિતિની બહાલી આપી હતી. સમર્પણ ઝોનથી જામનગર તરફ વોટર ડીસ્ટ્રીબ્યુશન નેટવર્ક સુધારવા પાણીની લાઈન નાખવા માટે કુલ રૂા.5.43 કરોડના ખર્ચને બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં કમિશનર ડી.એન. મોદી, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી ઈજનેર ભાવેશ જાની સહિતના અધિકારીએ ઉપસ્થિત રહ્યા હતાં.