કાલાવડ ગામમાં ખત્રીવાડ વિસ્તારમાં રહેતા મહિલાના ઘરમાંથી તસ્કરોએ ત્રાટકીને સોનાના દાગીના અને 32 હજારની રોકડ રકમ સહિત કુલ રૂા.2,75,750 ની માલમતા ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ ગામમાં ખત્રી વાડ ગરબી ચોક વિસ્તારમાં રહેતા હિરલબેન ચિંતન બોસમિયા નામના મહિલાના ગત તા.22 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર સુધીના સમય દરમિયાન શૈલેન્દ્ર, અખિલેશ, સંદીપ નામના ત્રણ શકદારોએ મકાનમાં પ્રવેશ કરી રૂમના કબાટમાંથી સવા ચાર તોલાની સોનાની ચાર બંગડીઓ, સવા તોલાનો સોનાનો ચેઈન, પોણા બે તોલાનો સોનાનો હાર, સવા તોલાની સોનાની લકકી અને સવા તોલાની સોનાની બે વીંટી સહિતના રૂા.2,43,750 ની કિંમતના 9.75 તોલાના સોનાના દાગીના અને રૂા.32 હજારની રોકડ રકમની ચોરી કરી ગયા હતાં.
ત્યારબાદ મહિલાએ આ ત્રણ શકદારો વિરૂધ્ધ રૂા.2.43 લાખના સોનાના દાગીના અને રોકડ રકમ સહિત કુલ રૂા.2,75,750 ની માલમતાની ચોરી ગયાની ફરિયાદ નોંધાવતા પીઆઈ યુ.એચ. વસાવા તથા સ્ટાફે તપાસ આરંભી હતી.