જામનગર અને દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રહેતાં યુવાન સહિતના અન્ય યુવાનોને વિદેશ જવાની લાલચ આપી છેતરપિંડી આચરતા જામનગરના શખ્સને દબોચી લઇ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં એરપોર્ટ રોડ ઉપર મયૂર સોસાયટીમાં રહેતાં રાજેન્દ્ર મુળુ રાજગોર નામના શખ્સ દ્વારા યુવાનોને વિદેશ મોકલવાની લાલચ આપી તેમની પાસેથી છેતરપિંડી આચરતા રાજેન્દ્ર વિરૂદ્ધ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયામાં રહેતાં ગજેન્દ્રનાથ ખીમનાથ કંઠરાય (ઉ.વ.35) નામના યુવાને રૂા. 1,24,500ની રોકડ અને અસલ પાસપોર્ટ આપ્યા બાદ છેતરપિંડી થયાની ફરિયાદ સિટી ‘સી’ ડિવિઝન પોલીસમાં નોંધાવી હતી. ઉપરાંત પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના આદિત્યાણા ગામમાં રહેતા ઇલાબેન ગલ્લાભાઇ જાડેજા (ઉ.વ.40) નામના મહિલાએ રાજેન્દ્ર રાજગોર તથા નિઝામ યુસુફ સમા અને રીઝવાના હમીર સોરા નામના ત્રણ શખ્સોને મહિલા સહિતનાઓએ અસલ પાસપોર્ટ તથા રૂા. 6,70,000ની રોકડ રકમ ચૂકવી દીધી હતી. તેમ છતાં આ શખ્સો દ્વારા યુવાન અને મહિલા સહિતનાઓને અસલ પાસપોર્ટ અને રોકડ પરત કરતાં ન હતા. ત્યારબાદ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
View this post on Instagram
ફરિયાદ સંદર્ભે પીઆઇ એન. કે. ડાભી, પીએસઆઇ વી. એ. પરમાર, એ. કે. ચાવડા તથા સ્ટાફએ જુદી જુદી ટીમો બનાવી એલસીબીના ટેકનિકલ સેલની મદદથી આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર રાજેન્દ્ર મુળુભાઇ રાજગોર (ઉ.વ. 36, રહે. જામનગર હાઇવે, ન્યારા બસ સ્ટોપ, રાજકોટ) નામના શખ્સને રાજકોટ ખાતેથી દબોચી લઇ 25 પાસપોર્ટ અને રૂા. 16 હજારની કિંમતના ચાર મોબાઇલ ફોન સહિતનો મુદામાલ કબ્જે કરી ધરપકડ કરી વધુ પૂછપરછ આરંભી હતી.


