Sunday, September 13, 2026
Homeરાજ્યજામનગરછોટીકાશીમાં સંત શિરોમણી પૂ. જલારામબાપાની 222મી જન્મ જયંતિ ઉજવાશે

છોટીકાશીમાં સંત શિરોમણી પૂ. જલારામબાપાની 222મી જન્મ જયંતિ ઉજવાશે

જલારામબાપાનું પૂજન-મહાઆરતી-ગૌમાતાનું પૂજન અને ઘાસચારા-લાડુ વિતરણ તથા માસ્તાન ભોજન સહિતના કાર્યક્રમો યોજાશે : જલારામ મહોત્સવ સમિતિ દ્વારા જલારામ શોભાયાત્રાનું આયોજન


છોટીકાશીના ઉપનામથી પ્રચલિત એવી દેવાલયોની નગરી જામમનગરમાં તા. 11ના દિવસે જલારામ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા સંત શિરોમણિ જલારામબાપાની 222મી જન્મ જયંતિની ભારે ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવશે. પૂ. જલારામબાપાનું પૂજન અને મહાઆરતી ઉપરાંત ગૌમાતાનું પૂજન અને ઘાસચારો તથા લાડુ વિતરણ તેમજ સારશ્ર્વત બ્રાહ્મણ જ્ઞાતિનું માસ્તાન ભોજન સહિતના કાર્યક્રમો યોજાવાનાર છે. ઉપરાંત જામનગર શહેરમાં જલારામ શોભાયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનોની આ શોભાયાત્રા સાધના કોલોની જલારામ મંદિરેથી પ્રારંભ થઇ નગર ભ્રમણ કરી હાપા સ્થિત જલારામ મંદિરે પૂર્ણ થશે. આ શોભાયાત્રા દરમિયાન વિવિધ સંસ્થા દ્વારા ઠેર-ઠેર પૂ. જલારામબાપાનું પૂજન તેમજ શોભાયાત્રાનું સ્વાગત કરાશે. જેનો બહોળી સંખ્યામાં સર્વે જલારામ ભક્તોએ કોવિડ ગાઇડલાઇન ને ધ્યાનમાં રાખીને લાભ લેવા અનુરોધ કરાયો છે.

- Advertisement -


જામનગર શહેરમાં તા. 11ના રોજ સંત શિરોમણી પૂ. જલારા બાપાની 222મી જન્મ જયંતિની ધામધૂમપૂર્વક ઉજવણી કરવાના ભાગરુપે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જલારામ જયંતિ મહોત્સવ સમિતિ જામનગર દ્વારા વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન ઘડી કાઢવામાં આવ્યું છે અને પૂજન-મહા આરતી માસ્તાન ભોજન તેમજ શોભાયાત્રા સહિતના દિવસભરના અનેક ધાર્મિક કાર્ય(્રમો યોજવામાં આવી રહ્યાં છે.


જેમાં સૌપ્રથમ સવારે આઠ વાગ્યે પંચેશ્ર્વર ટાવર નજીક આવેલી લોહાણા જ્ઞાતિની વાડીમાં પૂ. જલારામબાપાનું પૂજન કરવામાં આવશે. ત્યારબાદ 8:15 વાગ્યે ગૌમાતાનું પૂજન તેમજ જામનગર શહેર અને આસપાસના વિસ્તારમાં આવેલી તમામ ગૌશાળાઓમાં ઘાસચારો તેમજ લાડુનું વિતરણ કરવામાં આવશે. ત્યારબાદ લોહાણ મહાજનવાડીમાં 10:30 વાગ્યાથી સારસ્વત બ્રાહ્મણ જ્ઞાતિનું માસ્તાન ભોજનનો કાર્યક્રમ યોજાશે.

- Advertisement -


જામનગરના જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સદર્સ્યો જીતુભાઇ લાલ, રમેશભાઇ દત્તાણી, મનોજભાઇ અમલાણી, ભરતભાઇ કાનાબાર, અતુલભાઇ પોપટ, રાજુભાઇ કોટેચા, રાજુભાઇ મારફતીયા, અનિલભાઇ ગોકાણી, ભરતભાઇ મોદી, રાજુભાઇ હિંડોચા, નિલેશભાઇ ઠકરાર, મધુભાઇ પાબારી તથા મનિષભાઇ તન્ના સહિતના સભ્યો દ્વારા જલારામ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ વિશાળ શોભાયાત્રાનું પ્રસ્થાન સાધના કોલોની વિસ્તારમાં આવેલા જલારામ મંદિરેથી થશે. જે નગર ભ્રમણ કરીને હાપા સ્થિત જલારામ મંદિરે પૂર્ણ થશે. જ્યાં મહાઆરતી તેમજ શયન આરતી કરવામાં આવશે.


ટુ-વ્હીલર અને ફોર વ્હીલર વાહનો દ્વારા યોજાનાર આ જલારામ શોભાયાત્રામાં સર્વજ્ઞાતિય અનેક જલારામ ભક્તો પારંપારીક વેશભૂષા તેમજ માથે સાફો ધારણ કરીને શોભાયાત્રામાં જોડાશે. બપોરે 2:30 વાગ્યે સાધના કોલોની જલારામ મંદિરથી શોભાયાત્રાનો પ્રારંભ થશે. ત્યારપછી જામનગરના નાનકપુરી વિસ્તાર, પવનચક્કી, દિગ્વિજ્ય પ્લોટ, હવાઇચોક, સેન્ટ્રલ બેંક રોડ, ચાંદીબજાર, કેદાર લાલ સીટી ડિસ્પેન્સરી, રણજીત રોડ, બેઇગેઇટ, પંચેશ્ર્વર ટાવર, ટાઉનહોલ સર્કલ, લાલબંગલા સર્કલ, જિલ્લા પંચાયત સર્કલ, સાત રસ્તા સર્કલ, શરુસેકશન રોડ, પંચવટી સર્કલ, ડીકેવી સર્કલ, જી.જી. હોસ્પિટલ રોડ, અંબર સિનેમા રોડ, નાગનાથ ગેઇટ સર્કલ, ગુલાબનગર થઇ હાપા સ્થિત જલારામ મંદિરે 7:30 વાગ્યે સંપન્ન થશે.

- Advertisement -


આ શોભાયાત્રામાં સર્વજ્ઞાતિય જલારામ ભક્તો જોડાશે. તેમ જ શહેરની જુદી જુદી સંસ્થાના અગ્રણીઓ ઉપરાંત વેપારી આગેવાનો દ્વારા વિવિધ સ્થળોએ શોભાયાત્રાનું સ્વાગત કરાયા પછી પૂ. જલારામબાપાનું પૂજન કરવામાં આવશે. આ વિશાળ શોભાયાત્રામાં જોડાવા માટે જલારામ જયંતિ મહોત્સવ સમિતિના સદસ્યો વતી જીતુભાઇ લાલ દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular