ભારત-પાકિસ્તાન વચ્ચે યુઘ્ધની સ્થિતિમાં જામનગરના કારખાનેદારએ ફેસબૂક એકાઉન્ટ પર આપત્તિજનક પોસ્ટ વાયરલ કરતાં તેના વિરૂઘ્ધ પોલીસે જનતાને ગેરમાર્ગે દોરવાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે જામનગરના રણજિતસાગર રોડ પર સેટેલાઇટ પાર્કની શેરી નંબર પાંચમાં રહેતા કારખાનેદાર મનિષ વલ્લભભાઇ ડાંગરિયા નામના 45 વર્ષના વ્યકિતએ તેના “મનિષ ડાંગરિયા” નામના ફેસબૂક એકાઉન્ટમાં હાલમાં ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવભરી પરિસ્થિતિને લગત અનેક પોસ્ટ કરી હતી. તે પૈકીની એક પોસ્ટમાં “વાત આખી પાકિસ્તાનનો સફાયો કરવાની છે. ખાલી અવાવરૂ જગ્યા એટલે કે ખરાબાની જગ્યામાં સર્જિકલ સ્ટ્રાઇક કરીને દલાલ મિડિયામાં વાહવાહી મેળવીને ગુલામ પ્રજાતિઓને અને ભક્તોને મુર્ખ બનાવવાના નથી.” આવી જાહેર જનતાને ગેરમાર્ગે દોરનારી આપત્તિજનક પોસ્ટ વાયરલ કરનાર કારખાનેદાર સામે પીએસઆઇ એચ. વી. રોયલા તથા સ્ટાફએ કારખાનેદાર વિરૂઘ્ધ બીએનએસ કલમ 197(ડી) મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.