જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં 2019ના વર્ષમાં સગીરાનું અપહરણ કરી લઇ જઇ દુષ્કર્મ આચરનાર બે શખ્સ વિરૂઘ્ધના કેસમાં સ્પેશિયલ પોક્સો કોર્ટએ મુખ્ય આરોપીને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા તથા અન્ય આરોપીને પાંચ વર્ષની સખત કેદની સજા અને ભોગ બનનારને વળતર પેટે રૂપિયા ચાર લાખ ચૂકવવાનો આદેશ કર્યો હતો.
આ કેસની વિગત મુજબ વર્ષ 2019માં જામનગર તાલુકાના સિક્કા નજીકના વિસ્તારમાં રહેતી 14 વર્ષની સગીરાને એઝાઝ હનિફ તથા અજયસિંહ જાડેજા નામના બે શખ્સો રાત્રિના સમયે અપહરણ કરી ભગાડી ગયા હતા. દરમ્યાન સગીરાના માતાએ સવારે ઉઠતાં પુત્રી ઘરમાં ન જોવા મળતાં પતિને જાણ કરી હતી. ત્યારબાદ અગાઉ સગીરાને હેરાન કરતાં એઝાઝ હનિફ નામના શખ્સને ફોન કરતાં એઝાઝે સગીરા મારી સાથે છે તેમ કહી ફોન કાપી નાખી સ્વીચ્ડ ઓફ કરી દીધો હતો. ત્યારબાદ ત્રણ દિવસ પછી સગીરા મળી આવી હતી. દરમ્યાન સગીરા અભ્યાસ કરતી હતી. ત્યારે એઝાઝ હનિફે ફેસબૂકમાં ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી સંપર્ક કરી સગીરાને સિકકા બોલાવી દુષ્કર્મ આચર્યું હતું. તેમજ એઝાઝ ગાગવા ગામમાં આવેલા સુરાપુરાના મંદિર નજીક અવારનવાર બોલાવતો હતો. સગીરા સાથે ચારથી પાંચ વખત દુષ્કર્મ આચર્યું હતું. તેમજ સગીરાને ભાગીને લગ્ન કરી લેવાનું જણાવી ગત્ તા. 18 જુલાઇ, 2019ના રાત્રિના બે વાગ્યાની આસપાસ એઝાઝ તથા તેના મિત્ર અજયસિંહ કિરીટસિંહ બાઇક લઇને આવ્યો હતો. ત્યારબાદ અજયસિંહના ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતું.
ત્યારબાદ ગાગવા ગામની ધાર પાસે સગીરાને ઉતારી મૂકી હતી. બાદમાં એઝાઝે ફરી એકવખત સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ આ બનાવમાં પોલીસે બન્ને શખ્સો વિરૂઘ્ધ પોક્સો અને અપહરણની કલમ હેઠળ ગુનો નોંધી ધરપકડ કરી હતી. દરમ્યાન આ કેસ સ્પે. પોકસો કોર્ટમાં ચાલી જતાં સરકારી વકીલ ભારતીબેન વાદી દ્વારા કરાયેલી ધારદાર દલીલો અને 17 જેટલા સાહેદો તથા દસ્તાવેજી પુરાવાઓ માન્ય રાખી આરોપી એઝાઝ હનિફને તકસીરવાન ઠેરવી 20 વર્ષની સખત કેદની સજા ફટકારવામાં આવી હતી. અન્ય આરોપી અજયસિંહ કિરીટસિંહને પાંચ વર્ષની સખત કેદની સજા તેમજ ભોગ બનનાર સગીરાને વળતર પેટે રૂા. ચાર લાખ ચૂકવવાનો સ્પે. કોર્ટના જજ વી. પી. અગ્રવાલ દ્વારા હુકમ કરવામાં આવ્યો હતો.