જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના મજોઠ ગામમાં ચાલી રહેલા કથિત ગેરકાયદે ખનીજ ખનન સામે અનેક રજૂઆતો છતાં કાર્યવાહી ન થતાં અરજદારે જામનગર સ્થિત ખાણ-ખનીજ વિભાગની કચેરીએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ પ્રદર્શન કર્યું હતું.
મજોઠ ગામના સોડાભાઈ નાગજીભાઈ વરુના જણાવ્યા મુજબ, ગામમાં લાંબા સમયથી નદીમાંથી રેતીનું ખનન તેમજ સિંચાઈની જમીનમાંથી ગેરકાયદેસર માટી ખનનની પ્રવૃત્તિઓ ચાલી રહી છે. આ અંગે તેમણે ખાણ-ખનીજ વિભાગ સહિત સંબંધિત સરકારી તંત્રને અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરી હોવા છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી.
અરજદારે આક્ષેપ કર્યો છે કે ગેરકાયદે ખનનનો વિરોધ કરવા બદલ તેમને ખનીજ માફિયાઓ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. તેમના કહેવા મુજબ, કેટલાક લોકો મારફતે તેમને એવો સંદેશો આપવામાં આવ્યો છે કે તેમની અરજીઓનો કોઈ અસર થવાની નથી. આ કારણે તેઓ અને તેમનો પરિવાર ભયના માહોલમાં જીવન જીવી રહ્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
View this post on Instagram
અરજદારે વધુમાં એવો પણ આક્ષેપ કર્યો છે કે ખાણ-ખનીજ વિભાગના કેટલાક અધિકારીઓની કથિત નિષ્ક્રિયતા અથવા મિલીભગતને કારણે ગેરકાયદે ખનન સામે કાર્યવાહી થતી નથી.
અરજદારે ઉચ્ચ અધિકારીઓ સમક્ષ ગેરકાયદે ખનન તાત્કાલિક બંધ કરાવવા, સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ કરવા તેમજ પોતાને અને પરિવારને પોલીસ સુરક્ષા આપવા માંગ કરી છે. તેમણે ચેતવણી આપી છે કે જો ટૂંક સમયમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો તેઓ આમરણાંત ઉપવાસ સહિત વધુ ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવશે.


