જામનગર શહેરના બેડી વિસ્તારમાં આવેલા વીરસાવરકરભવન આવાસમાં રહેતી યુવતીએ અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડી વિસ્તારમાં આવેલા વીર સાવરકર ભવન આવાસમાં રહેતી પાયલબેન મહેન્દ્રભાઈ દોડિયા (ઉ.વ.20) નામની યુવતીએ ગત તા.3 ના રોજ સવારના સમયે અગમ્યકારણોસર ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા યુવતીને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમિયાન રવિવારે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પિતા મહેન્દ્રભાઈ દ્વારા જાણ કરવામાં આવતા હેકો એસ.એ. મકવા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.