ભાણવડમાં ઝડપાયેલ ગાંજા કેસના આરોપીને અદાલત દ્વારા પાંચ વર્ષની સખ્ત કેદ તથા રૂા.10 હજારના દંડ ફટકારતો અદાલતનો હુકમ જાહેર થયો છે.
આ કેસની વિગત મુજબ, ભાણવડ વિસ્તારમાં રહેતા સાધુ કલ્યાણનાથ ગુરુ શિવનાથ નાથજીના રહેણાંક મકાનમાં પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં આ સ્થળેથી રૂપિયા 26,784 ની કિંમતનો 4.464 કિલો ગાંજો તેમજ મોબાઈલ, ગાંજો સેવન કરવા માટેની ચલમ વિગેરે મુદ્દામાલ કબજે લેવામાં આવ્યો હતો. જે અંગે ભાણવડ પોલીસ મથકમાં એન.ડી.પી.એસ. એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધાયો હતો.
આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી પી.આઈ. પી.બી. ઝાલા દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ કોર્ટમાં ચાર્જસીટ રજૂ કરવામાં આવ્યું હતું. જે અંગેનો કેસ ખંભાળિયાની એડિશનલ સેશન્સ અને સ્પેશિયલ કોર્ટમાં ચાલી જતા કોર્ટના જજ એસ.જી. મનસુરી દ્વારા આ પ્રકરણમાં સાક્ષીઓની તપાસ તેમજ અન્ય મુદ્દાઓ સાથે સરકારી વકીલ ભગીરથસિંહ એસ. જાડેજા દ્વારા કરવામાં આવેલી વિવિધ દલીલોને ગ્રાહ્ય રાખી આરોપીને તકસીરવાન ઠેરવ્યો હતો. આ પ્રકરણમાં આરોપીને પાંચ વર્ષની સખત કેદ તથા રૂપિયા 10,000 નો દંડ ફટકારતો હુકમ કરવામાં આવ્યો છે.