દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ સપ્તાહમાં મેઘરાજા મહેરબાન રહ્યા છે. ત્યારે ગઈકાલે શુક્રવારે પણ જિલ્લામાં ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસી જવા પામ્યો છે. તેમજ જામનગર શહેરમાં ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો. લાલપુરમાં સામાન્ય છાંટા પડયા હતા. જ્યારે બાકીના તાલુકાઓમાં વરસાદી વિરામ રહ્યો હતો.
દ્વારકા જિલ્લામાં સૌથી વધુ કલ્યાણપુર તાલુકામાં વધુ 3 ઈંચ (77 મી.મી.) પાણી વરસી જતા ઠેર ઠેર પાણી ચાલી નીકળ્યા હતા. આ સાથે ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદના લીધે ખેતરો પાણીથી તરબતર બન્યા હતા. ખંભાળિયા તાલુકામાં ગત સાંજે ધોધમાર ઝાપટા વરસી જતા 38 મી.મી. પાણી પડી ગયું હતું. દ્વારકામાં સાંજથી ધીમીધારે વરસાદ વરસ્યો હતા અને 18 મી.મી. પાણી વરસી ગયું હતું. ભાણવડ પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં શુક્રવારે હળવા ઝાપટા રૂપે 8 મી.મી. વરસાદ નોંધાયો હતો.
ખંભાળિયા સહિત જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં આજે સવારે થોડો સમય ઉઘાડ વચ્ચે સૂર્યનારાયણના પણ દર્શન થયા હતા. જો કે વરસાદી વાદળો વચ્ચે અમીછાંટણા પણ વરસ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોથી માફકસર વરસતા આ વરસાદથી ખેતરોમાં નોંધપાત્ર ફાયદો થઈ રહ્યો છે. આ સાથે મોસમનો કુલ વરસાદ કલ્યાણપુરમાં સવા 11 ઈંચ (284 મી.મી.), દ્વારકામાં સાડા 5 ઈંચ (138 મી.મી.), ભાણવડમાં 4 ઈંચ (103 મી.મી.), અને ખંભાળિયામાં સવા પાંચ ઈંચ (132 મી.મી.) સાથે જિલ્લામાં કુલ સરેરાશ વરસાદ સાડા 6 ઈંચ (164 મી.મી.) નોંધાયો છે.
દ્વારકાની સાથે સાથે જામનગર જિલ્લામાં માત્ર ઝાપટા પડયા હતા. જેમાં જામનગર શહેરમાં છેલ્લા 24 કલાક દરમ્યાન ઝાપટારૂપે 7 મીમી પાણી પડયું હતું. લાલપુરમાં માત્ર સામાન્ય છાંટા પડયા હતા. અન્ય તાલુકાઓમાં વરસાદી વિરામ રહ્યો હતો. આજે સવારે 6 વાગ્યે પૂરા થતાં 24 કલાક દરમ્યાન જિલ્લામાં જામનગરમાં કુલ 123 મીમી, જોડિયામાં 377 મીમી, ધ્રોલમાં 136 મીમી, કાલાવડમાં 190, લાલપુરમાં 93 મીમી અને જામજોધપુરમાં 204 મીમી પાણી વરસી ગયું છે.