જામનગરના મધુરમ્ રેસિડેન્સીમાં રહેતાં દંપતિને તેના જ પાડોશી પરિવારે ગાળાગાળી કરી લાકડાંના ધોકા વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના રામેશ્વરનગર, વિનાયક પાર્ક પાસે આવેલી મધુરમ્ રેસિડેન્સીમાં મધૂરેશ્વર મહાદેવ મંદિર નજીક રહેતાં અને ડ્રાઇવિંગનો વ્યવસાય કરતાં નરેન્દ્રસિંહ બટુકસિંહ ગોહિલ (ઉ.વ.47) નામના યુવાન ગત્ તા. 20ના રોજ બપોરના સમયે તેના પત્ની સાથે ઘરે હતા ત્યારે તેની બાજુમાં રહેતાં પ્રદ્યુમનસિંહ પ્રવીણસિંહ જેઠવા, અરૂણાબા પ્રદ્યુમનસિંહ જેઠવા અને તેના સગીર પુત્ર સહિતના ત્રણ શખ્સોએ નરેન્દ્રસિંહના ઘર પાસે આવી દંપતિ સાથે ગાળાગાળી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારબાદ લાકડાના ધોકા વડે દંપતિ ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. હુમલાના બનાવમાં ઘવાયેલા દંપતિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. ઇજાગ્રસ્ત નરેન્દ્રસિંહની જાણના આધારે એએસઆઇ પી. કે. ગુઢકા તથા સ્ટાફે સગીર અને તેના માતા-પિતા સહિત ત્રણ શખ્સો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.


