જામનગરના પટેલ એસ્ટેટ વિસ્તારમાં આવેલા એક કારખાનાની અગાસી ઉપર કામ કરી રહેલા પ્રૌઢને ઉપરથી પસાર થતી હાઇટેન્શન વીજલાઇનમાં વીજશોક લાગતાં નીચે પટકાતાં ત્રણ સપ્તાહથી વધુ સમયની સારવાર બાદ મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
View this post on Instagram

બનાવની વિગત મુજબ જામનગરના પટેલ એસ્ટેટ વિસ્તારમાં આવેલા કારખાનામાં કામ કરતાં અજયભાઇ નવિનભાઇ ભુવા (ઉ.વ. 55) નામના પ્રૌઢ ગત્ તા. 19 એપ્રિલના રોજ સવારે આઠ વાગ્યાના અરસામાં અગાસીમાં કામ કરવા ગયા હતા. તે દરમ્યાન અગાસી ઉપરથી પસાર થતી હાઇટેન્શન વીજલાઇનમાં દોરડું અડી જતાં વીજશોક લાગ્યો હતો. આ વીજશોકના કારણે પ્રૌઢ અગાસી પરથી નીચે પટકાતાં શરીરે અને માથામાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઇજાગ્રસ્ત અને દાઝી ગયેલા પ્રૌઢને સારવાર માટે 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક જી જી હોસ્પિલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમને પ્રાથમિક સારવાર બાદ હાલત ગંભીર જણાતા અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દરમ્યાન દાઝી ગયેલા ઇજાગ્રસ્ત પ્રૌઢનું અમદાવાદની હોસ્પિટલમાં આજે સવારે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કયું હતું.
મૃતક 55 વર્ષીય અજયભાઈ ભુવા (પટેલ) પોતાના નિખાલસ સ્વભાવ અને ધાર્મિક વૃત્તિ માટે જાણીતા હતા. તેઓ ‘ભગત’ તરીકે ઓળખાતા હતા અને પ્રણામી ધર્મના ખીજડા મંદિર સાથે ગાઢ રીતે જોડાયેલા હતા. મંદિરની સેવા અને ભક્તિ કાર્યોમાં તેઓ સતત વ્યસ્ત રહી પોતાનું જીવન ધર્મને સમર્પિત કરતા હતા. તેમના નિધનથી ધાર્મિક ક્ષેત્રે પણ શોકની લાગણી વ્યાપી છે. અજયભાઈના પરિવારમાં તેમના પત્ની ઉપરાંત એક પુત્ર રાહુલ અને એક પુત્રી પ્રિયંકા છે.