કાલાવડ તાલુકાના રામપર રવેશિયા ગામમાં રહેતાં ખેડૂત વૃદ્ધના પુત્રએ બે વર્ષ પહેલાં સરપંચની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી હોવાનો ખાર રાખી ગામના શખ્સે શુક્રવારે વહેલીસવારના સમયે ખેડૂત વૃદ્ધ દુધ લેવા જતાં હતાં તે દરમિયાન આંતરીને કુહાડી વડે જીવલેણ હુમલો કરતા બેશુદ્ધ થઇ ગયેલા વૃદ્ધને મૃતક સમજી હુમલાખોર નાશી ગયો હતો.
હત્યાના પ્રયાસના બનાવની વિગત મુજબ, કાલાવડ તાલુકાના રામપર રવેશિયા ગામમાં રહેતાં અને ખેતી કરતાં મોહનભાઈ પુંજાભાઇ ચીખલિયા (ઉ.વ.62) નામના વૃદ્ધ શુક્રવારે વહેલીસવારના છ વાગ્યાના અરસામાં તેના બાઈક પર ચારણનેસ ખાતે દુધ લેવા જતાં હતાં તે દરમિયાન ગામમાં જ રહેતાં ગુલમામદ ઓસમાણ સમા નામના શખ્સે વૃદ્ધને આંતરીને કુહાડી વડે જીવલેણ હુમલો કરતા વૃધ્ધ ગંભીર રીતે ઘવાઇને નીચે પડી જઇ બેશુદ્ધ થઈ ગયા હતાં. હુમલામાં બેશુદ્ધ થઇ ગયેલા વૃદ્ધ મૃત્યુ પામ્યા હોય તેમ સમજી હુમલાખોર ગુલમામદ ત્યાંથી પલાયન થઈ ગયો હતો. ત્યારબાદ વૃદ્ધને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં બનાવ અંગેની જાણ કરાતા પીએસઆઈ જે.એસ. ગોવાણી તથા સ્ટાફ હોસ્પિટલ પહોંચી ગયો હતો. ત્યાં પોલીસે ઈજાગ્રસ્ત મોહનભાઈના નિવેદનના આધારે ગુલમામદ ઓસમાણ સમા વિરૂધ્ધ નોંધાવેલી ફરિયાદ મુજબ બે વર્ષ પહેલાં મોહનભાઈનો પુત્ર સુનિલ સરપંચની ચૂંટણીમાં ઉભો હતો અને આ ચૂંટણી દરમિયાન ગુલમામદ સુનિલની વિરૂધ્ધમાં કામ કરતો હતો જેથી બંને વચ્ચે નાની નાની બાબતોમાં અવાર-નવાર બોલાચાલી થતી હતી અને ચૂંટણીનું મનદુ:ખ ચાલતું હતું. જે બાબતનો ખાર રાખી ગુલમામદે વૃદ્ધ ઉપર કુહાડી વડે જીવલેણ હુમલો કરી હત્યા નિપજાવ્યાનો પ્રયાસ કર્યાનો ગુનો નોંધી હુમલાખોરની ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.