કાલાવડ એડવોકેટની હત્યાના કેસમાં જામનગર એલસીબી પોલીસે બે શખ્સોને હાપા મેઇન રોડ, મામા સાહેબના મંદિર પાસેથી ઝડપી લઇ ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી લઇ બે દિવસના રીમાન્ડ મંજૂર રાખતા પોલીસે આગળની તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ કાલાવડમાં ખત્રીવાડ શેરી, ગરબી ચોકમાં રહેતા અને વકીલ મંડળના સેક્રેટરી ઇમ્તિયાઝભાઇ કેશરભાઇ દોઢીયા (ઉ.વ.42) નામના એડવોકેટ શુક્રવારના રાત્રીના 10:30 વાગ્યે ઘરનું તાળુ ખોલતા હોય ત્યારે આરોપી વૈભવ ચાવડા અને યોગેશ ઉર્ફે લાલો ભીખાલાલ પરમારે હુમલો કર્યો હતો અને યોગેશે એડવોકેટને ગળેથી પકડી રાખીને વૈભવએ છરીના આડેધડ ઘા મારીને કરપીણ હત્યા નિપજાવી હતી. આ સમયે એડવોકેટના ભાઇ આસીફભાઇ આવી જતાં તેમને પણ કોઇને જાણ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપીને નાશી છૂટયા હતાં. જે અંગેની મૃતકના ભાઇ આસીફભાઇની ફરીયાદ પરથી પોલીસે બંને શખ્સો સામે ગુનો નોંધ્યો હતો.
હત્યાના બનાવની પોલીસમાં દોડધામ મચી ગઇ હતી અને જિલ્લામાં નાકાબંધી કરાવીને બંને શખસોએ હાપા પાસેથી એલસીબીએ ઝડપી લીધા હતાં. જેનો કબજો કાલાવડ ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઇ એન. વી. આંબલીયા તેમજ રાઇટર રવિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે લઇને બંને શખ્સોને કોર્ટમાં રજૂ કરીને બે દિવસના રીમાન્ડ પર લઇને પૂછપરછ આરંભી છે અને તેના કબજામાંથી હત્યામાં વપરાયેલી છરી કબજે કરવાની તજવીજ હાથ ધરી છે.