કાલાવડ તાલુકાના નવાગામમાં આવેલા ચેક ડેમમાં ન્હાવા પડેલા યુવકનું પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણના આધારે જામનગર તથા કાલાવડ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ આરંભી મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો.
આ બનાવની વિગત એવી છે કે, મૂળ મધ્યપ્રદેશનો વતની અને કાલાવડ તાલુકાના નવાગામમાં રહેતા ખેડૂત મુકેશભાઈની વાડીમાં ખેતી કામ કરતો તેજારામ ગોવિંદભાઈ રાઠોડ (ઉ.વ.23) નામનો યુવાન નવાગામના ચેકડેમના પાણીમાં ન્હાવા પડયો હતો અને એકાએક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જવાથી લાપતા બન્યો હતો. બનાવની કાલાવડ ફાયરબ્રિગેડ ટીમને જાણ કરાતા કાલાવડના ફાયર શાખાના ચાર જવાનો ચેકડેમ પર દોડી ગયા હતાં અને લાપતા બનેલા યુવાનની શોધખોળ હાથ ધરી હતી. રાત્રિના આઠેક વાગ્યા સુધી શોધખોળ કર્યા પછી તેનો પત્તો નહીં મળતા ફરીથી જામનગર અને કાલાવડની ફાયરબ્રિગેડની ટીમ દ્વારા શોધખોળ કર્યા હાથ ધરવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાની ફાયરબ્રિગેડ શાખાના ચાર જવાનો પણ ફાયર શાખાની રેસ્કયૂ બોટ લઇને પહોંચ્યા હતાં અને શોધખોળ હાથ ધરી હતી. દરમિયાન બપોરે ચાર વાગ્યે ચેકડેમના પાણીની અંદરના કાદવમાં ખુપી ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ બનાવની જાણના આધારે પોલીસકાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને યુવાનના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.