ચૈત્ર માસ બાદ ધોરીમાસ ગણાતો અષાઢ મહિનો અડધો કોરો ગયા બાદ ગઈકાલથી ખંભાળિયા પંથકમાં વરસાદી માહોલ છવાયો હતો અને રાત્રિથી ધીમીધારે અવિરત રીતે શરૂ થયેલો વરસાદ ખંભાળિયા અને ભાણવડમાં પોણો ઈંચ અને કલ્યાણપુરમાં અડધો ઇંચ વરસી જવા પામ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ ખંભાળિયા સહિત દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે શુક્રવારથી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આજે ચઢતા પહોરથી જુદા જુદા વિસ્તારોમાં ધીમીધારે અવિરત રીતે વરસાદ વરસ્યો હતો. આજે વહેલી સવારના આશરે ચારેક વાગ્યાથી સવારે 10 વાગ્યા સુધીમાં ખંભાળિયા તાલુકામાં 19 મી.મી. અને ભાણવડ તાલુકામાં પણ 19 મી.મી. તથા કલ્યાણપુર તાલુકામાં 11 મી.મી. વરસાદ પડી જવા પામ્યો છે.
અવિરત રીતે ધીમીધારે વરસતા વરસાદી છાંટાથી ખેતરોમાં વાવવામાં આવેલા વિવિધ પાકને નોંધપાત્ર લાભ થનાર છે. આ સાથે અતૃપ્ત ધરાને પણ આ હળવા વરસાદથી નોંધપાત્ર ફાયદો થશે. ત્યારે હવે મેઘરાજા રૂસણા છોડી અને ધોધમાર વરસે તેમ સૌ કોઈ રહ્યા છે.
આ સાથે ખંભાળિયા સહિતના જિલ્લાના જુદા જુદા ગ્રામ્ય વિસ્તારોમાં પણ હળવા તેમજ ભારે ઝાપટા વરસ્યા છે. જે સવારે 10 વાગ્યા સુધીમાં મોસમનો કુલ વરસાદ ખંભાળિયા તાલુકામાં સાડા ત્રણ ઈંચ, ભાણવડમાં અઢી, કલ્યાણપુરમાં સવા અને દ્વારકા તાલુકામાં માત્ર પોણો ઈંચ વરસ્યો છે.


