જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા આજરોજ સવારે દરબારગઢ શાક માર્કેટનું નિરીક્ષણ કર્યુ હતું. જર્જરીત શાક માર્કેટ, આ વિસ્તારમાં ટ્રાફીકની સમસ્યા સહિતના મુદાઓને લઇ કમિશ્નર દ્વારા જામ્યુકોની ટીમ તથા સ્થાનિક નગરસેવકો સાથે નિરીક્ષણ કરી ચર્ચા કરવામાં આવી હતી. એસ્ટેટ શાખા દ્વારા દબાણરૂપ રેંકડીઓ જપ્ત કરવામાં આવી હતી.
જામનગર મહાનગરપાલિકાના કમિશ્નર દિપેશ કેડીયા આજે સવારે વોર્ડ નં.10ના દરબાર ગઢ શાક માર્કેટ સહિતના વિસ્તારોની મુલાકાતે પહોંચ્યા હતાં. દરબારગઢ શાક માર્કેટ વિસ્તારમાં શાક બકાલાની રેંકડીઓને કારણે ટ્રાફીક સહિતની સમસ્યાઓ અવાર નવાર સર્જાય છે જેને લઇ કમિશ્નર દ્વારા એસ્ટેટ શાખા સહિતની ટીમોને સાથે રાખી આ વિસ્તારમાં નિરીક્ષણ કર્યુ હતું. તેમજ આ વિસ્તારમાં પાણી, ભૂર્ગભ ગટર સહિતની સમસ્યાઓ અંગે પણ ચર્ચા કરી હતી. કમિશ્નરની મુલાકાત દરમિયાન એસ્ટેટ શાખા પણ સાથે હોય માર્ગો પર દબાણરૂણ રેંકડીઓ જપ્ત કરવામાં આવી હતી. કમિશ્નર સહિતની ટીમ પહોંચતા વેપારીઓ અને રેંકડી ધારકોમાં દોડધામ મચી ગઇ હતી. અને કેટલાક રેંકડી ધારકો રેંકડી લઇ આજુ બાજુની શેરીઓમાં નાશી ગયા હતાં.
View this post on Instagram
કમિશ્નરની આ મુલાકાત દરમિયાન જામનગર મહાનગરપાલિકાના ડે.કમિશ્નર દેવેન્દ્રસિંહ ઝાલા, સીટી એન્જીનીયર ભાવેશભાઇ જાની, મુકેશભાઇ વરણવા, વોર્ડ નં.10ના કોર્પોરેટર સંજયભાઇ દાઉદીયા, નિલેશભાઇ હાડા, પૂર્વ કોર્પોરેટર નટુભાઇ રાઠોડ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં.


