જામનગર શહેરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં આવેલી શાળા નંબર 19માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીએ વોશરૂમ જવાનું પૂછતાં શાળાના પ્રિન્સીપાલએ ગુસ્સે થઇને વિદ્યાર્થીને બે ફડાકા ઝિંકી દીધાં હતાં. તેમજ આ બાબતે પૂછવા જતાં વિદ્યાર્થીના પિતાને પણ ધક્કો મારી જાતિ વિષયક અપમાનિત કર્યા હતાં.
આ અંગેની મળતી વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર, પ્રજાપતિની વાડી પાછળના વિસ્તારમાં રહેતાં અને કડિયાકામ કરતાં પ્રવીણભાઇ અરજણભાઇ પાંડાવદરા (ઉ.વ.45) નામના યુવાનનો પુત્ર દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 રોડ પર આવેલી શાળા નંબર 19માં અભ્યાસ કરે છે. દરમ્યાન ગત્ તા. 29ના રોજ બપોરના દોઢ વાગ્યાના અરસામાં વિદ્યાર્થીએ વોશરૂમ જવા માટે શાળાના પ્રિન્સિપાલ રામસાહેબને પૂછવા જતાં ગુસ્સે થયેલા પ્રિન્સિપાલે વિદ્યાર્થીને બે ફડાકા ઝિંકી દીધાં હતાં. વિદ્યાર્થીને માર મારવાની બાબતે તેના પિતા પ્રવીણભાઇ પ્રિન્સીપાલને આ બાબતે ફરિયાદ કરવા ગયા ત્યારે પ્રિન્સિપાલએ વિદ્યાર્થીના પિતાને ધક્કો મારી ગાળો કાઢી હતી અને ત્યારબાદ ઝઘડો કરી જાતિ વિષયક અપમાનિત કરી, “તું અહીંથી નીકળી જા. તારે જેમ કરવું હોય તેમ કરજે. હું કોઇથી બીતો નથી.” તેવી ધમકી આપી હતી. ગંભીર ઘટનામાં વિદ્યાર્થીના પિતાએ પ્રિન્સિપાલ વિરૂદ્ધ સિટી ‘સી’ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે એસસી-એસટી સેલના ડીવાયએસપી તથા સ્ટાફ દ્વારા એટ્રોસિટી અને વિદ્યાર્થીને માર મારવાનો પ્રિન્સિપાલ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


