ખંભાળિયા – દ્વારકા ધોરીમાર્ગ પર દ્વારકા દર્શન કરી અને જામનગર તરફ જતા યુવાનો – મિત્રો સાથેની એક મોટરકાર રાત્રિના સમયે ઊંટ સાથે અથડાઈ પડતા મોટરકારમાં જઈ રહેલા એક યુવાનનું કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય યુવાનોને નાની-મોટી ઈજાઓ થવા પામી હતી.

અકસ્માતની વિગત મુજબ જામનગરના દરેડ વિસ્તારના રહીશ અને મૂળ રાજસ્થાન રાજ્યના રાજસમદ જિલ્લાના વતની એવા કૈલાશચંદ્ર લહેરૂભાઈ આહીર (ઉ.વ. 26) નામના યુવાન તેમના મિત્રો નિલેશ રતનભાઈ, હર્ષિલ પ્રશાંતભાઈ, કાર્તિક નિરજભાઈ અને હર્ષિલ મનીષભાઈ સાથે જીજે 11 ડીબી 4885 નંબરની મોટરકારમાં બેસીને દ્વારકા દર્શન કરવા ગયા હતા.
દર્શન કરીને આ મિત્રો સોમવારે રાત્રિના નવેક વાગ્યે દ્વારકાથી જામનગર તરફ પરત જવા માટે નીકળ્યા હતા. ત્યારે રાત્રિના આશરે 9:45 વાગ્યાના સમયે ખંભાળિયા-દ્વારકા માર્ગ પર ખંભાળિયાથી આશરે 26 કિલોમીટર દૂર હંજડાપર ગામ નજીક પહોંચતા પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલી આ મોટરકારની આડે એકાએક ઊંટ ઉતરી આવ્યું હતું. જેથી કારચાલકે તેનો કાબુ ગુમાવી દેતા આ મોટરકાર ઊંટ સાથે અથડાઈ હતી.
આ જીવલેણ ટક્કરમાં મોટરકારમાં બેઠેલા ભાર્ગવભાઈ પીઠાભાઈ નામના યુવાનનું માથાના ભાગે ગંભીર ઇજાઓ થવાના કારણે કરુણ મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે હર્ષિલ પ્રશાંતભાઈને હાથમાં ફ્રેકચર સહિતની ઈજાઓ થતા વધુ સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ સાથે કાર સવાર અન્ય યુવાનો નિલેશ, હર્ષિલ, કાર્તિક વિગેરેને સામાન્ય ઈજાઓ થવા પામી હતી.
આ બનાવ બનતા ઈમરજન્સી 108 એમ્બ્યુલન્સનો સ્ટાફ તાકીદે બે એમ્બ્યુલન્સ મારફતે ઘટના સ્થળે દોડી ગયો હતો અને ઇજાગ્રસ્તોને ખંભાળિયાની સરકારી સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે કૈલાશચંદ્ર લહેરૂભાઈ આહીરની ફરિયાદ પરથી કારના ચાલક સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની કાર્યવાહી હાથ ધરી છે.


