જામનગર શહેરના નવા મોખાણા વિસ્તારમાં થોડા દિવસ પહેલાં દીપડો દેખાતા સ્થાનિકોમાં ચિંતાનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને સમગ્ર વિસ્તારમાં સતત નજર રાખવાની કામગીરી શરૂ કરી હતી.

દીપડાને સુરક્ષિત રીતે પકડી શકાય તે માટે વન વિભાગ દ્વારા છેલ્લા ત્રણ દિવસથી વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું છે. સાથે જ દીપડાની હિલચાલ પર નજર રાખવા માટે ટ્રેપ કેમેરા પણ લગાવવામાં આવ્યા છે.
વન વિભાગ દ્વારા લગાવવામાં આવેલા ટ્રેપ કેમેરામાં દીપડો કેદ થયો હોવાનું સામે આવ્યું છે. કેમેરાના દૃશ્યોમાં દીપડો પાંજરાની ખૂબ નજીક સુધી આવી આંટાફેરા મારતો જોવા મળે છે. જોકે હજુ સુધી દીપડો પાંજરામાં પુરાયો નથી.
વન વિભાગની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે અને દીપડાની હિલચાલ પર ચાંપતી નજર રાખી રહી છે. દીપડાને કોઈ જાનહાનિ કે નુકસાન વિના સુરક્ષિત રીતે પકડીને જંગલ વિસ્તારમાં છોડવા માટે કામગીરી ચાલુ રાખવામાં આવી છે.
View this post on Instagram
વન વિભાગે નવા મોખાણા અને આસપાસના વિસ્તારના લોકોને સાવચેત રહેવા, રાત્રિના સમયે એકલા બહાર ન નીકળવા તેમજ દીપડો દેખાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવાની અપીલ કરી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં વન વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.


