શીખ ધર્મના પાંચમા ગુરુ અર્જન દેવજીના શહીદી દિવસ નિમિત્તે જામનગર સ્થિત ગુરુદ્વારા સિંઘ સભા જામનગર દ્વારા માનવસેવાના ભાવ સાથે શહેરની જી.જી. હોસ્પિટલ ખાતે દૂધ કોલ્ડડ્રિન્ક વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુરુદ્વારા સિંઘ સભાના આગેવાનો તેમજ શીખ સમાજના મોટી સંખ્યામાં ભાઈઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને હોસ્પિટલ ખાતે સારવાર માટે આવતા દર્દીઓ, તેમના સગા-સંબંધીઓ તેમજ હોસ્પિટલ સ્ટાફને દૂધ કોલ્ડડ્રિન્ક પીવડાવવામાં આવ્યું હતું. સેવાભાવી કાર્યમાં જોડાયેલા સ્વયંસેવકોએ દરેક વ્યક્તિ સુધી પહોંચી પ્રેમ અને સમરસતાનો સંદેશ પહોંચાડ્યો હતો.
ગુરુ અર્જન દેવજીના શહીદી દિવસને શિખ સમાજમાં સેવા, ત્યાગ, સહનશીલતા અને માનવ કલ્યાણના પ્રતિક તરીકે યાદ કરવામાં આવે છે. આ દિવસ નિમિત્તે દેશભરના ગુરુદ્વારાઓમાં વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો યોજાતા હોય છે. જામનગરમાં યોજાયેલા શબીલ કાર્યક્રમ દ્વારા પણ માનવસેવા અને પરોપકારની ભાવનાને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું.
View this post on Instagram
કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલમાં આવેલા દર્દીઓ અને તેમના પરિવારજનોએ આ સેવા બદલ ગુરુદ્વારા સિંઘ સભા તથા શીખ સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો. આયોજકોએ જણાવ્યું હતું કે, ગુરુઓના દર્શાવેલા માર્ગ પર ચાલીને જરૂરિયાતમંદોની સેવા કરવી એ જ સાચી શ્રદ્ધાંજલિ છે. આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં ભાઈચારો, એકતા અને માનવતાના મૂલ્યો વધુ મજબૂત બને છે.


