રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર મોડપર ગામના પાટીયા પાસેથી પસાર થતા દંપતીના બાઇકને પુરપાટ આવી રહેલી ઈનોવા કારના ચાલકે પાછળથી ઠોકર મારતા અકસ્માતમાં પ્રૌઢાનું ગંભીર ઈજા પહોંચતા મોત નિપજયું હતું જ્યારે પ્રૌઢને નાની-મોટી ઈજાઓ થઈ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરીયાળી ગામમાં રહેતાં ધિરજભાઈ કેશવજીભાઈ કોટડીયા (ઉ.વ.56) નામના પ્રૌઢ ગત તા.9 ના રોજ રાત્રિના 9 વાગ્યાના અરસામાં તેના કૌટુંબિક ભત્રીજાના લગ્નમાં મોવૈયા ગામે ગયા હતાં અને ત્યાંથી તેના જીજે-03-એનએસ-0725 નંબરના બાઈક પરથી રાજકોટ-જામનગર ધોરીમાર્ગ પર મોડપર ગામના પાટીયા પાસે પહોંચ્યા તે સમયે પાછળથી રાજકોટ તરફથી પુરપાટ આવી રહેલી જીજે-36-એઆર-1652 નંબરની ઈનોવા કારના ચાલકે પ્રૌઢના બાઈકને પાછળથી ઠોકર મારી હડફેટે લેતા પ્રૌઢ ધિરજભાઈને માથામાં અને શરીરે નાની-મોટી ઈજાઓ થઈ હતી ત્યારે તેમના પત્ની દયાબેન ધિરજભાઈ કોટડીયા (ઉ.વ.53) ને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્ત દંપતીને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં પ્રૌઢા દયાબેનનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતક પ્રૌઢના પુત્ર રાજેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો આર.ડી. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


