જામનગર મહાનગરપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના મતદાનને આજે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. આવતીકાલથી પ્રચારના ભુંગળા બંધ થઇ જશે. 26 એપ્રિલે સવારના 7 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. તેમજ તા.28 એપ્રિલના મત ગણતરી હાથ ધરાશે. આ મત ગણતરીનો 28 એપ્રિલે સવારના 9 વાગ્યાથી પ્રારંભ થશે ત્યારે જામનગર જિલ્લા ચુંટણી અધિકારી અને જિલ્લા કલેકટરની આગેવાની હેઠળ તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. ગઇકાલે જિલ્લા ચુંટણી અધિકારી દ્વારા મત ગણતરી સ્થળની મુલાકાત લેવામાં આવી હતી.
જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી પી.બી.પંડ્યાએ જામનગર મહાનગર પાલિકા વિસ્તારના મતગણતરી સ્થળ હરિયા કોલેજ ખાતે મુલાકાત લઇ સ્ટ્રોંગરૂમ અને કાઉન્ટીંગ હોલ સહીતની અન્ય વ્યવસ્થાઓનું નિરીક્ષણ કર્યું હતું. તથા લગત અધિકારીઓ અને જે તે વોર્ડના ચૂંટણી અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.
કલેક્ટરએ સ્ટ્રોંગ રૂમની મુલાકાત લઇ જરૂરી સુરક્ષા વ્યવસ્થાઓ ઉભી કરવા જણાવ્યું હતું. તેમજ સીસીટીવી મોનિટરિંગ સિસ્ટમનું નિરીક્ષણ કર્યું હતું. વિવિધ વોર્ડ પ્રમાણે તૈયાર કરવામાં આવેલા મતગણતરી હોલની મુલાકાત કરી તેઓએ ટેબલોની ગોઠવણી, ગણતરી એજન્ટો માટેની બેઠક વ્યવસ્થાની ચકાસણી કરી હતી. આ ઉપરાંત મીડિયા સેન્ટર, ઓબ્ઝર્વર રૂમમાં પણ જરૂરી વ્યવસ્થાઓ ગોઠવવા લગત અધિકારીઓને જણાવ્યું હતું. ચૂંટણી અધિકારીએ મતગણતરીની પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ અને કર્મચારીઓ ચૂંટણીપંચની માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરે તે પ્રમાણે જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું. ચૂંટણી અધિકારીએ મત ગણતરી સ્થળ પર જરૂરી વ્યવસ્થાઓ જેમ કે પીવાનું પાણી, વીજળી મેડિકલ ટીમ, પાર્કિંગ, સુરક્ષા વ્યવસ્થા સહીતની જરૂરી તમામ વ્યવસ્થાઓ ઉભી કરવા સૂચનો કર્યા હતા.
View this post on Instagram


