છેલ્લા રપ દિવસથી ચાલી રહેલા મધ્ય પૂર્વના યુધ્ધમાં ગઇકાલે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક નાટયાત્મક જાહેરાતમાં પાંચ દિવસ સુધી ઇરાનના વીજ મથકો અને અન્ય મહત્વના સ્થળો પર હુમલો નહીં કરવાની અને બંને દેશો વાટાઘાટના માર્ગે હોવાની કરેલી જાહેરાત વચ્ચે પણ આજે યુધ્ધ ચાલુ જ રહ્યું છે અને વહેલી સવારે ઇઝરાયલએ ઇરાનના ગેસ મથકોને નિશાન બનાવ્યા હતા.

તો બીજી તરફ ઇરાને પણ ઇઝરાયલ પર યેરૂસલામ સહિતના સ્થળો પર હુમલો કરીને યુધ્ધવિરામના ટ્રમ્પની જાહેરાત સામે પ્રશ્ર્ન ઉઠાવ્યો છે. ઇરાને બીજી તરફ ગઇકાલે જ ગલ્ફના દેશોને આપેલી ચેતવણી મુજબ જો તેમના પર ગલ્ફમાં રહેલા અમેરિકી સૈન્ય મથકોથી હુમલા થશે તો વળતો જવાબ અપાશે તેવી જાહેરાત કરી હતી. તેમાં આજે પણ ઇરાને કુવૈત પર ડ્રોન હુમલા ચાલુ રાખ્યા છે અને બહેરીન સહિતના વિસ્તારોમાં પણ વારંવાર હવાઇ હુમલાના સાયરન સતત વાગતા રહ્યા હતા.
ઇઝરાયલી સેનાએ આજે તેમના નાગરિકોને એક ચેતવણી આપીને ઇરાન તરફ મિસાઇલ હુમલા ચાલુ હોવાનું અને સુરક્ષીત રહેવા જણાવ્યું હતું. લગભગ એક કલાકમાં ત્રણ વખત ઇરાને ઇઝરાયલના યેરૂસલામ સહિતના વિસ્તારમાં મિસાઇલ હુમલા કર્યા હતા અને બીજી તરફ ઇઝરાયલે પણ લેબનનની રાજધાની બૈરૂતના દક્ષિણ વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. ઇઝરાયલની ડેવીડ સ્લીંગ તરીકે ઓળખાતી એર ડિફેન્સ સિસ્ટમમાં ખામી સર્જાતા ઇરાનના બે બેલીસ્ટીક મિસાઇલને તે હવામાં રોકી શકી ન હતી અને દક્ષિણ ભાગમાં આ મિસાઇલ ખાબકતા અનેક ઇઝરાયલી નાગરિકો ઘાયલ થયા છે. ઇરાન અને અમેરિકા વચ્ચેના કહેવાતા યુધ્ધ વિરામમાં એક તરફ ઇરાને સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યુ છે કે જો શાંતિ ઇચ્છતા હોય તો અમેરિકા અને ઇઝરાયલે હુમલા રોકવા જોઇએ.
ખાસ કરીને હોર્મુઝના જળમાર્ગ મુદ્દે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 48 કલાકમાં ખુલ્લો કરવા જે ચેતવણી આપી હતી તે પુરી થાય તે પહેલા પાંચ દિવસનું યુધ્ધવિરામ જાહેર કરીને સૌને ચોંકાવી દીધા હતા પણ ઇરાને જાહેર કર્યુ છે કે ટ્રમ્પે જે શાંતિ વાર્તાનો દાવો કર્યો છે.
તે બનાવટી દાવો છે અને ઇરાન તથા ઇઝરાયલના હુમલા યથાવત રહ્યા છે. ર8 ફેબ્રુઆરીએ શરૂ થયેલા યુધ્ધમાં અમેરિકાએ ઇરાન પર અંદાજે 9000 જેટલા હવાઇ હુમલા કર્યા છે તો ઇઝરાયલ પણ હવે ઇરાનના ગેસ મથકોને નિશાન બનાવતા ઇરાને પણ વળતો આ જ પ્રકારે ઉર્જા સ્થાનોને તબાહ કરવાની જાહેરાત કરી છે. ઇરાનના એક સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે, ઉર્જા માળખા ઉપર હુમલા એ ગલ્ફના દેશો માટે મુશ્કેલી સર્જશે. ઇરાને કુવૈત ઉપર પર હુમલા ચાલુ રાખ્યા હતા અને તેના કારણે હવે આ યુધ્ધ વિરામ ખરેખર કેટલા કલાક ટકશે તે પણ પ્રશ્ર્ન છે.


