જામજોધપુર ગામમાં રહેતાં અને ખેતી કરતાં યુવાને 30% ઉંચા વ્યાજે લીધેલા રૂા. ત્રણ લાખના 14 લાખ ચૂકવી દીધા છતાં બે વ્યાજખોરોએ વેપારીની સહીવાળા કોરા ચેકો લઇ પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આદરી હતી.

આ વ્યાજંકવાદના બનાવની મળતી વિગત મુજબ જામજોધપુર ગામમાં ભાજપ કાર્યાલયની પાછળ રહેતા અને ખેતી તથા ડ્રાઇવિંગ કરતાં નિકુંજભાઇ જેન્તીભાઇ ગોર (ઉ.વ.42) નામના યુવાને આર્થિક સંકળામણના કારણે નાણાની જરૂરિયાત ઉભી થવાથી જામજોધપુર તાલુકાના હોથીજી ખડબા ગામના પ્રતિપાલસિંહ ઉર્ફે કાનો નાથુભા જાડેજા અને ભાણવડ તાલુકાના વેરાડ ગામના ક્રિપાલસિંહ હરિસિંહ વાઘેલા પાસેથી 30 ટકાના રાક્ષસી વ્યાજ સાથે રૂપિયા ત્રણ લાખ વર્ષ 2021માં લીધા હતા. આ રકમના વ્યાજ પેટે યુવાને રૂપિયા 14 લાખ જેટલી રકમ ચૂકવી હતી. તેમજ બન્ને વ્યાજખોરોએ યુવાનની સહીવાળા કોરા ચેક લઇ લીધાં હતાં. નાણાં પરત આપવા છતાં વ્યાજની પઠાણી ઉઘરાણી કરી ગાળાગાળી કરી પતાવી દેવાની ધમકી આપી હતી. આ બનાવ અંગેની નિકુંજભાઇ દ્વારા જાણ કરાતા હે.કો. આર. કે. કંડોરિયા તથા સ્ટાફે બે વ્યાજખોરો વિરૂઘ્ધ ગુજરાત નાણા ધીરધારની કલમ મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.


