જામનગર શહેરના રામેશ્વરનગરમાં પાનની દુકાને મસાલો ખાવા ઉભેલા યુવાનને પાંચ શખ્સોએ, “તું અમારી વાતો કેમ કરે છે? તારે લત્તામાં રહેવું નથી લાગતું?” તેમ કહી તલવાર અને લોખંડના પાઇપ વડે હુમલો કર્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના રામેશ્વરનગરમાં ક્રિષ્ના પાર્કમાં રહેતો મોહસિનભાઇ રહીમભાઇ ઠેબા નામનો યુવાન ગઇકાલે બપોરના સમયે રામેશ્વરનગરમાં માટેલ પાનએ મસાલો ખાવા ઉભો હતો ત્યારે ઇન્દ્રજિતસિંહ જયેન્દ્રસિંહ, મીતરાજસિંહ જયેન્દ્રસિંહ, જયેેન્દ્રસિંહ ઉર્ફે જયુભા, રાજ, વીરૂ નામના પાંચ શખ્સોએ આવીને મોહસીનને, “તું કેમ અમારી વાતો કરે છે? તારે લત્તામાં રહેવું નથી લાગતું?” તેમ કહી બોલાચાલી કરતાં મોહસીને, “હું તમારી વાત નથી કરતો. તમને કોઇકે ખોટી વાત કરી છે.” તેમ જણાવતા ઉશ્કેરાયેલા ઈન્દ્રજિતસિંહ અને મીતરાજસિંહ નામના બે શખ્સોએ ગાળાગાળી કરતાં મોહસીનએ ગાળો બોલવાની ના પાડી હતી. તેથી ઉશ્કેરાયેલા બન્ને શખ્સોએ તલવાર વડે યુવાન ઉપર હુમલો કરી ઇજા પહોંચાડી હતી. હુમલો કરાતા યુવાન રાડારાડી કરવા લાગતાં બન્ને હુમલાખોરો બાઇક પર ચાલ્યા ગયા હતા. ત્યારબાદ જયેન્દ્રસિંહ, રાજ અને વીરૂ નામના ત્રણ શખ્સોએ આવીને મોહસીન ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપી હતી અને ઢીકાપાટુનો માર માર્યો હતો.


