આજની યુવા પેઢી જ્યારે પશ્ચિમી સંસ્કૃતિના પ્રભાવ હેઠળ આવી રહી છે, ત્યારે તેમને પુન: ભારતીય સંસ્કૃતિના ભવ્ય વારસા અને મૂલ્યોનું મહત્વ સમજાય તેવા ઉમદા હેતુ સાથે વિશ્વ હિન્દુ પરિષદ – દુર્ગાવાહિની અને માતૃશકિત સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સમગ્ર પ્રાંતમાં પઆપણી સંસ્કૃતિ આપણી વિરાસતથ સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.
આ અભિયાન અંતર્ગત સપ્તાહ દરમિયાન જામનગરની શ્રી વિદ્યોતેજક મંડળ સંચાલિત ડીસીસી વિવિધલક્ષી હાઈસ્કૂલ અને એન ડી શાહ હાયર સેક્ધડરી વિદ્યાલય, ફાયર કોલેજ, નવાનગર હાઈસ્કૂલ, રિદ્ધિ સિદ્ધિ ક્લાસિસ,મોદી સ્કૂલ સહિત શાળા કોલેજ ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત દુર્ગાવાહિની સૌરાષ્ટ્ર પ્રાંત વિદ્યાર્થી સંપર્ક પ્રમુખ કૃપાબેન લાલ દ્વારા પ્રાસંગિક વક્તવ્ય આપવામાં આવ્યું હતું. તેમણે વિદ્યાર્થીઓને ભારતીય સંસ્કૃતિની ગરિમા અને તેને જીવનમાં ઉતારવાની અનિવાર્યતા વિશે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને 7ફેબ્રુઆરી ના રોઝ ડે ના બદલે પ્રકૃતિ વંદના દિવસ, 8 ના પ્રપોઝ ડે ના બદલે મંદિર દર્શન દિવસ કે સમૂહ આરતી દિવસ, ચોકલેટ ડે ના બદલે સ્વદેશી દિવસ, ટેડી ડે ના બદલે ગાય માતા પૂજન દિવસ કે ઉંબરા પૂજન દિવસ, પ્રોમિસ ડે ના બદલે નાગરિક કર્તવ્ય દિવસ, હગ ડે ના બદલે સૂર્ય દેવ જળ અર્પણ દિવસ,કિસ ડે ના બદલે તિલક દિવસ, વેલેન્ટાઇન ડે ના બદલે માતૃ પિતૃ પૂજન દિવસ અને શ્રદ્ધાંજલિ દિવસ ઊજવવા માટે આહવાન કર્યું હતું.
કાર્યક્રમમાં સંગઠનના અગ્રણી હોદ્દેદારોએ હાજરી આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા, જેમાં હીનાબેન અગ્રાવત (સહ સંયોજિકા માતૃશક્તિ – સૌરાષ્ટ્ર પ્રાંત), બજરંગદળ જામનગર મહાનગર સંયોજક ભગીરથ સિંહ વાળા, પ્રફુલાબેન અગ્રાવત (સત્સંગ પ્રમુખ), રેખાબેન (સહ પ્રમુખ),વર્ષાબેન નંદા (સંયોજિકા, માતૃશક્તિ) ભાવનાબેન ગઢવી (સહ સંયોજિકા),ભાવનાબેન મણીયાર, જાનવીબહેન લાલ સહિતના અધિકારીઓ અને કાર્યકર્તાઓ તેમજ ગોહીલ, નીતાબેન, આશિષ કારિયા, ડો સંજયભાઈ દાતાણી સહિત શાળા કોલેજના પ્રિન્સિપાલ તેમજ સ્ટાફગણ અને ખુબ મોટી સંખ્યા માં વિદ્યાર્થીઓ જોડાયા હતા.
આ કાર્યક્રમમાં કુલ 1100 થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમના અંતે તમામ બાળકોએ એકસાથે મળીને આપણી અમૂલ્ય સંસ્કૃતિ અને વિરાસતને જાળવી રાખવા તેમજ તેને ગૌરવપૂર્વક અનુસરવા માટેના શપથ ગ્રહણ કર્યા હતા.વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિનીના આ પ્રયાસને શાળા પરિવાર અને વાલીઓ દ્વારા પણ બિરદાવવામાં આવ્યો છે.


