જામનગર શહેરના વંડાફળી વિસ્તારમાં આવેલા આદિનાથ રેસિડેન્સીમાં પાંચમા માળે રહેતાં યુવાન ઉપર આજે સવારે પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના ભાઇ સહિતના બે શખ્સોએ ઘરમાં ઘૂસી આડેધડ છરીના ઘા ઝિંકી જીવલેણ હુમલો કરતાં યુવાન લોહીથી લથબથ હાલતમાં ઢળી પડયો હતો. હત્યાના બનાવમાં એલસીબીની ટીમે ગણતરીના કલાકોમાં જ હત્યારા સાળા સહિતના બે શખ્સોને દબોચી લઇ આગળની તપાસ આરંભી હતી.
આ બનાવની જાણ મુજબ જામનગર શહેરમાં આવેલી વંડાફળી વિસ્તારના આદિનાથ રેસિડેન્સીમાં પાંચમા માળે ફલેટ નંબર 502માં રહેતા નિલય અશોકકુમાર કુંડલિયા નામનો યુવાન આજે સવારે તેના ફલેટમાં હતો ત્યારે બે શખ્સો ઘરમાં ઘૂસી આવ્યા હતા અને યુવાન ઉપર આડેધડ છરીના ઘા ઝિંકયા હતા. નિલય ઉપર છરી વડે જીવલેણ હુમલો થતાં યુવાન લોહીથી લથબથ હાલતમાં ઘરમાં જ ઢળી પડયો હતો. પુત્ર ઉપર હુમલો થતાં માતાના આક્રંદથી આજુબાજુના લોકો દોડી આવ્યા હતા. તે પહેલાં હુમલાખોરો ગણતરીની મિનિટોમાં જ પલાયન થઇ ગયા હતા. ત્યારબાદ બેશુદ્ધ થઇ ગયેલા નિલયને 108 એમ્બ્યુલન્સ દ્વારા જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કારગત નિવડે તે પહેલાં જ નિલયનું મોત નિપજતા હત્યાના બનાવ અંગે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.
View this post on Instagram
વધુમાં મળતી વિગત મુજબ હુમલાનો ભોગ બનનાર નિલય કુંડલિયાએ થોડા સમય પહેલાં જ પ્રેમલગ્ન કર્યા હતા. તેના ઉપર હુમલો પણ આ પ્રેમલગ્નના ખારમાં કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. યુવાન ઉપર હુમલો યુવતીના ભાઇ સહિતના બે શખ્સો દ્વારા કરવામાં આવ્યો હોવાનું આધારભૂત સૂત્રોમાંથી જાણવા મળે છે. બનાવની જાણના આધારે પીઆઇ એન. એ. ચાવડા તથા સ્ટાફ સ્થળ પર પહોંચી ગયો હતો અને પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે કરવા કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન હત્યા નિપજાવનાર બે શખ્સોની શોધખોળ માટે પોલીસ અધિક્ષક ડો. રવિમોહન સૈનીની સુચનાથી ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ જુદી જુદી ટીમો બનાવી તપાસ હાથ ધરવામાં આવી હતી. જેમાં એલસીબી પીઆઈ વી.એમ. લગારીયા અને એન.એ. ચાવડા દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરાયા હતાં.
હત્યાના બનાવ બાદ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના ઈન્ચાર્જ પીએસઆઈ બી.બી.સીંગલ તથા સ્ટાફ દ્વારા બાઈકના ટેકનિકલ એનાલીસીસના આધારે કાલાવડ – વાવડી ચોકડી નજીક લોકેટ થતા બન્ને હત્યારાઓ કાલાવડથી જામ કંડોરણા તરફ નાશી જવાની પેરવીમાં હોય એલસીબી અને સિટી એ ડીવીઝનની ટીમે જામ કંડોરણા પોલીસ ટીમની મદદથી સાતુદડ ગામની સીમમાંથી નિલય અશોકભાઈ કુંડલિયા નામના યુવાનની હત્યા નિપજાવનાર સાળો મનિષ જેરામ મોરી (રહે. માધવબાગ-1, શેરી નંબર-6, સાંઢીયા પુલ પાસે, જામનગર) અને સોહિલ સલીમ સોઢા (રહે. ભારતમીલ, શક્કરબાગની બાજુમાં, જૂનાગઢ) નામના બન્ને હત્યારાઓને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


