રાજ્યમાં લાંબા ચોમાસાએ વિદાય લઇ લીધા બાદ મેઘરાજાને જાણે કે ગુજરાત છોડવું જ ન હોય તેમ નવરાત્રિ અને દીવાળી બાદ હવે લાભપાંચમ પછી પણ વાવાઝોડાના રૂપે પધરામણી કરવાની સંભાવનાઓ બળવત્તર બની છે. લાભપાંચમ બાદ 29-30 ઓક્ટોબર આસપાસ અરબી સમુદ્રમાં ઉભુ થયેલું હવાનું હળવું દબાણ ચક્રવાતમાં રૂપાંતરિત થવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ ચક્રવાતને મોન્થા નામ આપવામાં આવ્યું છે. સંભવત: 30 ઓક્ટોબર આસપાસ સૌરાષ્ટ્રના કાંઠે આ વાવાઝોડું લેન્ડ ફોલ કરે તેવું અનુમાન વ્યકત કરવામાં આવી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા અરબી સમુદ્રમાં બની રહેલી આ સીસ્ટમ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આમ, લાભપાંચમ બાદ ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના કાંઠાળા વિસ્તારોમાં વધુ એક વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે.
બીજી તરફ ઇશાનના ચોમાસાએ દક્ષિણ ભારતમાં ભારે જમાવટ કરી છે આગામી દિવસોમાં અહીં ચોમાસાનો વરસાદ તિવ્ર બનવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
દિવાળીના તહેવારની ઉજવણી વચ્ચે તમિલનાડુમાં ભારે વરસાદનું વિઘ્ન આવ્યું છે. આજે (20મી ઑક્ટોબર) સવારે ચેન્નઈમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરના ઘણા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે અને માર્ગ તેમજ હવાઈ વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.
ચેન્નઈમાં સતત બે દિવસથી પડી રહેલા વરસાદને કારણે ઘણા નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણ સુધી પાણી ભરાઈ ગયા છે. પૂર્વ કોસ્ટ રોડ પર આવેલા વેલાચેરી, મેદાવક્કમ, પલ્લીકરણાઈ અને નીલંકરાઈ જેવા વિસ્તારો વરસાદથી સૌથી વધુ અસરગ્રસ્ત થયા છે. બીજી તરફ નીલગિરિ જિલ્લામાં ભૂસ્ખલનની ઘટનાઓ નોંધાઈ છે, જેના પગલે નીલગિરિ માઉન્ટેન રેલવે (NMR) રૂટ પરની ટ્રેન સેવાઓ રદ કરવાની ફરજ પડી છે.
વરસાદની ગંભીર પરિસ્થિતિને જોતા તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને તાત્કાલિક પગલાં લીધા છે. તેમણે ચેન્નઈમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના જિલ્લા કલેક્ટરો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી. મુખ્યમંત્રીએ અધિકારીઓને દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોના રહેવાસીઓને તાત્કાલિક સુરક્ષિત સ્થળોએ ખસેડવાનો નિર્દેશ આપ્યો છે.
ભારતીય હવામાન વિભાગ (IMD)એ આગામી થોડા દિવસો માટે ચેતવણી જાહેર કરી છે. ઈંખઉ અનુસાર, આગામી 22મી ઑક્ટોબરની આસપાસ દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ બનવાની શક્યતા છે, જે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદી પ્રવૃત્તિઓને વધુ તીવ્ર બનાવશે.


