View this post on Instagram
જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરને રેલવે ફાટક મુક્ત બનાવવા માટે શહેરની મધ્યમાંથી પસાર થતી જુદી જુદી રેલ્વે લાઈનના ક્રોસિંગ પર ઓવરબ્રીજ બનાવવાની કામગીરી તબક્કા વાર આગળ ધપાવવામાં આવી રહી છે, અને હાપા માર્કેટિંગ યાર્ડ રોડ પર રૂપિયા 41.89 કરોડના ખર્ચે નવો ઓવર બ્રિજ સંપૂર્ણ પણે તૈયાર થયો છે, અને અંતિમ તબક્કામાં કામગીરી ચાલી રહી છે. નગરજનોને ટૂંક સમયમાં જ નવા ઓવર બ્રિજની ભેટ મળશે.
જામનગર મહાનગરપાલિકા દ્વારા હાપા માર્કેટિંગ યાર્ડ નજીક એલસી નં. 188 ઉપર રેલવે ઓવરબ્રિજનું નિર્માણ સિંગલ એન્ટિટી પદ્ધતિથી કરવામાં આવી રહ્યું છે, જેની અંદાજિત કિંમત રૂ. 41.89 કરોડ છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા રેલવે તંત્રની ભાગીદારી સાથે તૈયાર થઇ રહેલા આ સંપૂર્ણ પુલની લંબાઈ 733.86 મીટર છે, જેમાંથી 111.84 મીટરનો ભાગ રેલવે વિભાગમાં આવે છે. પુલમાં 10.90 મીટરની ખુલ્લી કેરેજ – વે ઉપલબ્ધ રાખવામાં આવી છે, જે વાહનવ્યવહાર સરળ અને અવિરત રહે તે માટે ડિઝાઇન કરાઇ છે.
જામનગર મહાનગરપાલિકાના કમિશનર ડી.એન. મોદી, ડેપ્યુટી કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, આસી. કમિશનર ભાવેશ જાની સહિતના અધિકારીઓની રાહબરી હેઠળ પ્રોજેક્ટ એન્ડ પ્લાનિંગ વિભાગના રાજીવ જાની અને તેઓની સમગ્ર ટીમ દ્વારા નિર્માણ કાર્યનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે.
ખાસ કરીને જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડ ને આ નવો બ્રિજ બનવાથી ખૂબ જ ફાયદો થઈ શકે છે. જ્યાં સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી અનેક નાના-મોટા વાહનો આવે છે, તે તમામ વાહન ચાલકો માટે આ બ્રિજ ખૂબ જ ફાયદાકારક નીવડશે, અને પ્રતિદિન અનેક વાહન ચાલકો રાહત અનુભવશે.
આ પ્રોજેક્ટ વોર્ડ નં. 10, 11, 12 તથા આજુબાજુના વિસ્તારના નાગરિકોને વિશેષ રીતે લાભ આપશે. હાલમાં રહેલા લેવલ ક્રોસિંગને દૂર કરીને ટ્રાફિકની સમસ્યા ઘટાડશે, અને પ્રવાસનો સમય બચાવશે, ઉપરાંત ઇંધણની બચત કરશે, અને પ્રદૂષણમાં પણ ઘટાડો લાવશે, જે ઊર્જા બચત અને પર્યાવરણ અનુકૂળતા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.
આ પુલનું નિર્માણ કાર્ય અંતિમ તબક્કામાં છે, અને આવનારા 30 દિવસોમાં પૂર્ણ થવાની શકયતા છે. હાલમાં અંતિમ કલર અને ફિનિશિંગનું કામ ચાલી રહ્યું છે, અને બહુ જ ઝડપથી આ પુલ વાહન વ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવશે. અને લોકોને અવરજવર માટે ખૂબ જ સાનુકૂળ રહેશે. ખાસ કરીને વેપાર ઉદ્યોગના ટ્રાન્સપોર્ટેશન માટે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવશે. એકાદ માસમાં જ સંપૂર્ણપણે પુલનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયા બાદ તેનું લોકાર્પણ કરી દેવામાં આવશે અને જામનગરની જનતાને મહાનગરપાલિકા તરફથી એક નવી ભેટ પ્રાપ્ત થશે. સાથો સાથ ફાટક મુક્ત જામનગર શહેરને બનાવવા માટેનું મહાનગરપાલિકા નું વધુ એક કદમ આગળ ધપશે.


