જામનગર તાલુકાના લોઠીયા ગામના સીમ વિસ્તારમાં રહેતાં અને મજૂરી કામ કરતા મધ્યપ્રદેશના આદિવાસી યુવાનની સાળીને લઇ જવા આવેલા ચાર શખ્સોએ યુવતીના બેન-બનેવી ઉપર ધોકા વડે જીવલેણ હુમલો કરતા ઘવાયેલી મહિલાને વડોદરા હોસ્પિટલમાં લઇ જતાં તે દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
હત્યાના બનાવની વિગત મુજબ, મૂળ મધ્યપ્રદેશના જામ્બવા જિલ્લાના નાલરપુરાના વતની અને હાલ જામનગર જિલ્લાના લોઠીયા ગામના સીમ વિસ્તારમાં જગદીશભાઈના ખેતરમાં મજૂરી કામ કરતા બહાદુર દોલાભાઈ ભુરીયા (ઉ.વ.35) તેની પત્ની લલીતા સાથે રહીને મજૂરી કામ કરતા હતાં દરમિયાન ગત તા.31 જાન્યુઆરીના રોજ મધ્યરાત્રિના સમયે તેની સાથે રહેતી સાળીને ચાર શખ્સો લઇ જવા માટે આવ્યા હતાં. પરંતુ સાળીને લઇ જતાં સમયે બહાદુર અને તેની પત્ની લલિતા ઉર્ફે લલી બંને જાગી જતા પ્રતિકાર કરવા જતા પિશુ ઉર્ફે રમેશ પ્રતાપ બામણિયા, દિનેશ નગરશી બામણિયા, સુંદર નંગરશી બામણિયા, ભાવશી દિપશી વાસ્કલે નામના ચાર શખ્સોએ દંપતી ઉપર ધોકા વડે અને ઢીકાપાટુનો માર મારી હુમલો કર્યો હતો. હુમલામાં લલીતા ઉર્ફે લલીને વધુ ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઘવાયેલા દંપતીને સારવાર માટે લાલપુરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાંથી જામ્બવા સરકારી હોસ્પિટલમાં અને ત્યારબાદ દાહોદની પવન હોસ્પિટલ ખાતે સારવર માટે ખસેડાતા જ્યાં તેણીની હાલત વધુ ગંભીર જણાતા વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહી હતી તે દરમિયાન લલીતા ઉર્ફે લલીનું મોત નિપજ્યું હતું.
ચાર શખ્સો દ્વારા કરાયેલા હુમલામાં મહિલાનું મોત નિપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો. આ અંગેની જાણ મૃતકના પતિ બહાદુર ભુરીયા દ્વારા કરવામાં આવતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે હત્યાનો ગુનો નોંધી ખેતમજૂરી કરતા ચાર હત્યારાઓની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.