જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં રહેતાં ગેરેજ સંચાલકે ત્રણ વ્યાજખોરો પાસેથી 10-10 ટકાના તોતિંગ વ્યાજે લીધેલી રકમ પેટે ત્રણ વ્યાજખોર સહિત ચાર શખ્સોએ વધુ રૂપિયાની ઉઘરાણી માટે અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
મળતી વિગત મુજબ, જામનગર શહેરના કિશાન ચોક વિસ્તારમાં ગેરેજના સંચાલક હિરેનભાઈ કનખરા નામના યુવાને એક માસ અગાઉ પારસ કટારમલ પાસેથી 32000 રૂપિયા 10 ટકા તોતિંગ વ્યાજે લીધા હતાં. જેનું દર મહિને રૂા.5000 ભરતો હતો અને રૂા.30000 વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વધુ રૂા.25000 ની માંગણી કરી પારસે સેેન્ટ્રલ બેંકના બે કોરા ચેક સહી કરેલા પડાવી લીધા હતાં તેમજ રીઝવાન જસાણી પાસેથી 15 ટકા વ્યાજે રૂા.50000 લઇ દર મહિને રૂા.5000 વ્યાજ ચૂકવતો હતો અને હિરેને રૂા.60000 જેટલું વ્યાજ રીઝવાનને ચૂકવી દીધું હોવા છતાં વધુ રૂા.70000 ની માંગણી કરી સહી કરેલા બે કોરા ચેક લઇ લીધા હતાં.
તેમજ હિરેન ભરત ગોહિલ પાસેથી રૂા. 1,72,000 ની રકમ 10 ટકાના વ્યાજે લીધા હતાં. તેનું દર મહિને રૂા.17000 વ્યાજ ચૂકવતો હતો. આ પેટે રૂા. 1,54,000 જેટલું વ્યાજ ચુકવી દીધું હોવા છતા ભરત વધુ રૂપિયા બે લાખની માંગણી કરતો હતો અને ભરતના વ્યાજના પૈસા માટે અના ખફી નામના શખ્સે હિરેનને અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકીઓ આપી હતી. આમ, હિરેનને ત્રણ વ્યાજખોરો સહિતના ચાર શખ્સોએ અપશબ્દો બોલી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં હેકો વી.જે. જાદવ તથા સ્ટાફે હિરેનભાઈના નિવેદનના આધારે પારસ કટારમલ, રિઝવાન જસાણી, ભરત ગોહિલ અને અના ખફી વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.