ધ્રોલ ગામમાં વાગુદડ રોડ ઉપર આવેલા ટાયરના કારખાનામાં બોઇલરમાં લાકડા નાખવા જતાં ઇલેકટ્રીક ફૂંકણીમાં અડી જતાં વીજશોક લાગતાં પ્રૌઢનું સારવાર દરમ્યાન મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
બનાવની વિગત મુજબ લાલપુર તાલુકાના ધરારનગર ગામના વતની અને હાલ ધ્રોલ ગામમાં વાગુદડ રોડ ઉપર આવેલા દેવ ટાયરના કારખાનામાં મજૂરીકામ કરતાં ચંદુભાઇ રામજીભાઇ શિંગરખિયા (ઉ.વ.55) નામના પ્રૌઢ રવિવારે બપોરના સમયે બોઇલરમાં લાકડા નાખવા જતાં ઇલેકટ્રીક ફૂંકણીમાં અડી જતાં વીજશોક લાગતા બેશુદ્ધ થઇ ગયા હતા. ત્યારબાદ પ્રૌઢને સારવાર માટે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કયું હતું. આ અંગે મૃતકના પુત્ર કિશન દ્વારા જાણ કરાતા હે.કો. સી. જે. જાડેજા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


