જામનગરના નવાગામ ઘેડમાં બાઇકમાં નીકળેલા ચાલકને તેની બાઇક સરખી રીતે ચલાવવાનું કહેતા ઉશ્કેરાયેલા બાઇકચાલક તથા તેની સાથે રહેલા અન્ય એક શખ્સે યુવાન ઉપર છરી વડે હુમલો કરી ઇજા પહોંચાડી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં ચિરાગ રાઠોડ નામનો યુવાન ગઇરાત્રે પોતાના ઘર પાસે હતો ત્યારે બાઇકમાં પુરપાટ સ્પીડે નીકળેલા કુલદીપસિંહ ઝાલા અને અર્જુનસિંહ જાડેજા નામના બે શખ્સોને ચિરાગએ બાઇક નિરાંતે ચલાવવાનું કહેતાં બન્ને શખ્સો ઉશ્કેરાઇ ગયા હતા. બન્નેએ ચિરાગને બિભત્સ ગાળો કાઢી હતી. શરીરે ઢીકા પાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. કુલદીપસિંહ ઝાલાએ પોતાની પાસે રહેલી છરીનો એક ઘા કરી ચિરાગને ટચલી આંગળીમાં ઇજા પહોંચાડતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર હેઠળ ખસેડાયો હતો. આ બનાવની જાણ ઇજાગ્રસ્ત યુવાનના કાકા અશ્વિનભાઇ રાઠોડએ કરતાં સિટી ‘બી’ ડિવિઝનના હે.કો. પી. કે. વાઘેલા તથા સ્ટાફે બન્ને શખ્સો સામે હુમલો તથા હથિયારધારાના ભંગનો ગુનો નોંધી બન્ને શખ્સોની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.


