Saturday, July 27, 2024
Homeરાજ્યહાલારઓખામાં આલ્કોહોલયુક્ત આયુર્વેદિક પીણું વેચતા ત્રણ શખ્સો ઝડપાયા

ઓખામાં આલ્કોહોલયુક્ત આયુર્વેદિક પીણું વેચતા ત્રણ શખ્સો ઝડપાયા

- Advertisement -

ઓખામાં જુદા જુદા બે દુકાનદારો દ્વારા આલ્કોહોલ યુક્ત આયુર્વેદિક સીરપનું વેચાણ કરવા સબબ પોલીસે કરેલી અલગ અલગ કાર્યવાહીમાં કુલ આઠ શખ્સો સામે ગુનો નોંધાયો છે. આ પ્રકરણમાં પોલીસે બે વેપારીઓ તેમજ હોલસેલ વિક્રેતા મળી ત્રણ શખ્સોની અટકાયત કરી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે ઓખા મરીન પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ઓખાના નવીનગરી વિસ્તારમાં રહેતા અને આર.કે. બંદર વિસ્તારમાં મહાદેવ નામની દુકાન ધરાવતા નિલેશ ભરતભાઈ કાસ્ટા નામના 35 વર્ષના યુવાન પોતાની દુકાનમાં સેલ્ફ જનરેટેડ આલ્કોહોલયુક્ત આયુર્વેદિક પીણું વેચતો હોવાનું થોડા સમય પૂર્વે પોલીસના ધ્યાન આવ્યું હતું. આથી ઓખા મરીન પોલીસે આ સ્થળેથી લોકોને આરોગ્યને નુકસાન થઈ શકે તેવું આયુર્વેદિક પીણું વેચવા સબબ નિલેશ કાસ્ટા ઉપરાંત કલ્યાણપુર તાલુકાના ખીજદડ ગામે રહેતા વિરેન્દ્રસિંહ સુરુભા જાડેજા, મૂળ ખીજદળ ગામના અને હાલ જામનગર રહેતા અર્જુનસિંહ મહિપતસિંહ જાડેજા, જામનગરના રામેશ્વર વિસ્તારમાં રહેતા દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, અમદાવાદના પંકજકુમાર પ્રભુદાસ વાઘેલા, વાપીના મેસર્સ એએમબી ફાર્મા સિલવાસાના પ્રોપરાઈટર તરીકે શીતલ ભાવે અને મેસર્સ હર્બોગ્લોબલ ફાર્માસ્યુટિકલ લિમિટેડ સિલવાસાના પ્રોપરાઈટર્સ સામે ગુજરાત નશાબંધી ધારાની જુદી જુદી કલમ તથા ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક એક્ટની જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને મારુતિ વેગન-આર કારમાં માલની હેરાફેરી કરી હોવા ઉપરાંત બિલમાં દર્શાવેલા જીએસટી નંબરના અંકમાં પણ ફેરફાર કરી, ખોટા દસ્તાવેજો ઉભા કરી અને આવા દસ્તાવેજોને ખરા તરીકે ઉપયોગ કરવા સબબ ઓખા મરીન પોલીસ મથકમાં આઈપીસી કલમ 465, 468 ,471 તેમજ ધી ગુજરાત નશાબંધી સુધારા અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ જ પ્રકારે અન્ય એક ગુનામાં ઓખાના નવીનગરી વિસ્તારમાં રહેતા કુલદીપસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ પણ થોડા સમય પૂર્વે પોતાની દુકાનમાં આ પ્રકારે આરોગ્યને નુકસાનકર્તા આલ્કોહોલયુક્ત આયુર્વેદિક પીણું વેચવા સબબ કુલદીપસિંહ જાડેજા ઉપરાંત અન્ય આરોપીઓ વિરેન્દ્રસિંહ સુરુભા જાડેજા, અર્જુનસિંહ મહિપતસિંહ જાડેજા, દિવ્યરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા, પંકજકુમાર પ્રભુદાસ વાઘેલા, શીતલ ભાવે તેમજ હર્બોગ્લોબલ ફાર્માસ્યુટિકલ લિમિટેડના પ્રોપરાઇટર્સ મળી કુલ સાત સામે પણ જુદી-જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણમાં પોલીસે અગાઉ આશરે 27 હજારનો મુદ્દામાલ પણ કબજે કર્યો હતો. આ બંને ગુનામાં ઓખાના પીએસઆઈ આર.આર. ઝરૂએ ફરિયાદી બની અને વિરેન્દ્રસિંહ સુરુભા જાડેજા સાથે કુલદીપસિંહ ઘનશ્યામસિંહ અને નિલેશ ભરતભાઈની વિધિવત રીતે અટકાયત કરી હતી. આ સમગ્ર પ્રકરણની વધુ તપાસ દ્વારકાના પીએસઆઈ આકાશ બારસિયા દ્વારા હાથ ધરીને અન્ય આરોપીઓને ઝડપી લેવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular