જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં રહેતી બાળકી તેણીના મામાના ઘરે વેકેશનમાં પરસોત્તમ મહિનો હોવાથી રોકાવા ગઇ હતી. ત્યારે ગઇકાલે રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા તે સમયે રમતાં રમતાં 14 વર્ષની બાળકી જમીન પર ઢળી પડતાં મોત બાદ આજે હૈયાફાટ રૂદન સાથે બાળકીની અંતિમયાત્રા નીકળી હતી.
મળતી વિગત મુજબ જામનગર શહેરના ચાંદીબજાર વિસ્તારમાં આવેલા મોટું ફળી પાસે રહેતાં રાજેશભાઇ મોદી નામના યુવાનની પુત્રી આનંદીબેન રાજેશ મોદી (ઉ.વ.14) નામની બાળકી વેકેશન અને પરસોત્તમ મહિનો હોવાથી તેણીના રાજકોટમાં રહેતાં મામાના ઘરે રોકાવા ગઇ હતી. તે દરમ્યાન ગઇકાલે સાંજના સમયે બાળકી અને તેના મામા સહિતના પરિવારજનો રેસ્ટોરન્ટમાં જમવા માટે ગયા હતા. જ્યાં નાના બાળકો રમતા હતા ત્યારે આનંદી મોદી નામની બાળકી દોડતાં સમયે અચાનક જ જમીન પર ઢળી પડી બેશુદ્ધ થઇ ગઇ હતી. રમતાં રમતાં બેશુદ્ધ થઇ ગયેલી બાળકીને ગભરાઇ ગયેલા પરિવારજનો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં બાળકીનું ઘાતક હૃદયરોગના કારણે મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ અંગેની જાણ થતાં બાળકીના પરિવારજનો રાજકોટ દોડી ગયા હતા. વધુમાં મળતી વિગત મુજબ મૃતક બાળકીએ ગત્ માસમાં જ તેના જન્મદિવસની ઉજવણી કરી હતી અને આજથી સ્કૂલ શરૂ થવાની હોય સ્કૂલે પણ જવાની હતી પરંતુ બાળકીના મોત બાદ પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું અને આજે સવારે બાળકીની અંતિમયાત્રા હૈયાફાટ રૂદન સાથે નીકળી હતી.
View this post on Instagram
રાજકોટમાં 14 વર્ષની ઘાતક હાર્ટએટેકથી મોત નિપજયાની ઘટનાથી સમગ્ર હાલાર પંથક હચમચી ગયો છે. અગાઉ પણ નાના બાળકોથી લઇ યુવાનોને હાર્ટ એટેકના કારણે જિંદગી ગૂમાવ્યાની ઘટનાઓ અનેક બની ગઇ હતી. કોરોના કાળ પછી બાળકો અને યુવાનોમાં ઘાતક હાર્ટ એટેકની ઘટનાનું પ્રમાણ અનેકગણુ વધી ગયું છે. જે ચિંતાની બાબત છે.


