જામનગર-કાલાવડ ધોરીમાર્ગ પર મતવા ગામના પાટીયા પાસે ટેન્કરે બાઇકને હડફેટ લેતાં ગમખ્વાર અકસ્માતમાં પતિ-પત્ની અને પુત્ર ત્રણેયના મોત નિપજયા હતાં. આ ત્રણેય મૃતકો જામનગરના શંકરટેકરીના રહેવાસી હોવાનું ખુલ્યું હતું અને આજે સાંજે આ ત્રણેય મૃતકોની એક સાથે અંતિમયાત્રા નિકળતાં કરૂણ દશ્યો સર્જાયા હતાં.
અરેરાટીજનકના બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં શંકરટેકરી વાલ્મિકી વાસ વિસ્તારમાં વલ્લભનગરમાં રહેતાં સફાઇ કામદાર સુરેશભાઇ મકનભાઇ પઠાણ (ઉ.વ.40), સરોજબેન સુરેશભાઇ પઠાણ(ઉ.વ.38) અને પુત્ર સાવન સુરેશભાઇ પઠાણ(ઉ.વ.18) નામના પતિ-પત્નિ અને પુત્ર ત્રણેય તેના જીજે-10-ડીએફ-1239 નંબરના બાઈક પર કાલાવડ જતાં હતાં ત્યારે મતવા ગામના પાટીયા નજીક પૂરઝડપે બેફીકરાઈથી આવતા ટેન્કર ચાલકે બાઈકને ઠોકરે ચડાવી હડફેેટે લેતા ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બાઈક પર બેસેલા સુરેશભાઇ મકનભાઇ પઠાણ, તેની પત્ની સરોજબેન અને પુત્ર સાવન નામના ત્રણેયને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હતાં. અકસ્માતની જાણ થતા પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો અને લોકો પણ એકઠાં થઈ ગયા હતાં. ત્યારબાદ પોલીસે ત્રણ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યારબાદ જામનગરના એક જ પરિવારના પતિ-પત્નિ અને પુત્રના અકસ્માતમાં મોત નિપજયાની જાણ થતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અને બાદમાં આજે સાંજે મૃતદેહોને જામનગર શંકરટેકરી વિસ્તારમાં તેમના ઘરે લઇ આવવામાં આવ્યા હતાં અને તેમના ઘરેથી એક સાથે ત્રણેયની અંતિમયાત્રા નિકળતાં કરૂણ દશ્યો સર્જાયા હતાં.