Thursday, May 22, 2025
Homeરાજ્યજામનગરજામનગરમાં સતત બે દિવસથી તાપમાન 36 ડિગ્રીએ સ્થિર

જામનગરમાં સતત બે દિવસથી તાપમાન 36 ડિગ્રીએ સ્થિર

હવામાન વિભાગ દ્વારા બે દિવસ તિવ્ર પવનની આગાહી : વેકેશનનો માહોલ હોય રાત્રિના હળવા-ફરવાના સ્થળે જતા શહેરીજનો

જામનગર શહેરમાં સતત બે દિવસથી તાપમાન 36 ડિગ્રીએ પારો સ્થિર થયો છે અસહ્ય ગરમીથી શહેરીજનો અકળાઈ રહયા છે તો બીજી તરફ હવામાન વિભાગ દ્વારા બે દિવસ તિવ્ર પવનની આગાહી કરવામાં આવી છે. માનવીઓની સાથે સાથે પશુ-પક્ષીઓ પણ ગરમીથી પરેશાન થઈ ભીના સ્થળોમાં આરામ કરી ગરમીથી રાહત મેળવી રહ્યા છે.

- Advertisement -

જામનગર સહિત સૌરાષ્ટ્રમાં ચૈત્રીદનૈયા તપવાનું શરૂ થયું છે. જામનગરમાં થોડા દિવસો પૂર્વે 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચી ગયું હતું. ત્યારબાદ તાપમાનનો પારો થોડોક ગગડતા શહેરીજનોને આંશિક રાહત મળી હતી આમ છતાં તાપમાન 36 ડિગ્રી આજુબાજુ જ રહેતાં બપોરના સમયે સુર્યનારાયણના આકરા તાપથી લોકોમાં પરેશાન થઈ રહયા છે. જામનગરમાં સતત ત્રણ દિવસથી મહત્તમ તાપમાન 36 ડિગ્રી જેટલું નોંધાઈ રહ્યું છે. આજે કલેકટર કચેરીના જણાવ્યા અનુસાર આજે સવારે પૂરા થતા 24 કલાક દરમિયાન જામનગરમાં મહત્તમ તાપમાન 36 ડિગ્રી, લઘુતમ તાપમાન 24 ડિગ્રી હવામાં ભેજનું પ્રમાણ 76 ટકા તથા પવનની ગતિ 10.4 કિ.મી./કલાક નોંધાઈ હતી.

રાજ્યના હવામાન વિભાગ દ્વારા પણ બે દિવસ ધુળઉડાડતા તિવ્ર પવનની આગાહી કરવામાં આવી છે ચૈત્રી દનૈયાને કારણે શહેરીજનો અકળાઈ રહ્યા છે. બપોરના સમયે સુર્યનારાયણના આકરા મીજાજને કારણે શહેરીજનો બિનજરૂરી બહાર નિકળવાનું ટાળી રહ્યા છે. જેથી માર્ગો સુમસામ બનતા જોવા મળી રહ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો, મજૂરોની હાલત પણ ગરમીથી કફોડી બને છે. બપોરના સમયે પરસેવે રેબજેબ થતા પરેશાનીનો સામનો કરે છે. માનવીઓની સાથે સાથે પશુપક્ષીઓ પણ ગરમીથી પરેશાન થાય છે અને જ્યાં ભીનો વિસ્તાર જોવા મળે ત્યાં આશરો લઇ રહ્યા છે. હાલમાં વેકેશનનો સમય છે ત્યારે શહેરીજનો ગરમીથી રાહત મેળવવા સાંજના સમયે બાગ બગીચાઓ તથા હળવા ફરવાના સ્થળોએ આશરો લે છે. ગરમીની સીઝનની સાથે લોકો લીંબુ શરબત, છાશ-સોડા જેવા ઠંડા પીણાનો સહારો લઈ રહ્યા છે ત્યારે ઉનાળાની સાથે લીંબુના ભાવો પણ ઉંચકાઇ રહ્યા છે. સાંજના સમયે લોકો આઈસ્ક્રીમ, દુધ કોલ્ડ્રીંકસ, શેરડીનો રસ, બરફના ગોલા સહિતની ખાણીપીણીઓની મોજ મજા પણ માણી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular