જામનગર શહેરમાં સાત રસ્તા પાસે એસટી બસ ચાલકે રાહદારીને હડફેટે લેતાં રાહદારીને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. તેના કારણે રાહદારી અને એસટી બસ ચાલક વચ્ચે બબાલ અને મારામારી થઇ હતી. આ ઘટનામાં પોલીસે એસટી બસના ચાલકની ફરિયાદના આધારે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ ગઇકાલે સાંજના સાત વાગ્યાના અરસામાં નિલેશ મગનભાઇ બગડા (ઉ.વ.39) નામનો યુવાન તેની જૂનાગઢ-જામનગર રૂટની એસટી બસ જીજે18 ઝેડ 7276 નંબરની બસ લઇને સાત રસ્તા પાસને ગોળાઇ પાસેથી પસાર થતાં હતા ત્યારે રિક્ષા અને બસ વચ્ચે રહેલા સન્ની મકવાણાને બસ અડી ગઇ હતી. જેથી ઉશ્કેરાયેલા સન્નીએ એસટી બસમાં પથ્થરના ઘા માર્યા હતાં. તેમજ બસ ઉપર ચઢીને ચાલક નિલેશભાઇને બે-ત્રણ ફડાકા ઝિંકી પાટા માર્યા હતાં. ઉપરાંત સીટી નીચે પડેલી લોખંડની પટ્ટી વડે હુમલો કરી બસચાલકની ફરજમાં રૂકાવટ કરી હતી. આ માથાકૂટ થવાથી રોડ ઉપર લોકોના ટોળાં એકઠાં થઇ ગયા હતા. ત્યારબાદ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. સમગ્ર ઘટનામાં પોલીસે બસચાલક નિલેશભાઇની ફરિયાદના આધારે ગુનો નોંધી પીએસઆઇ એમ. એચ. મહેતા તથા સ્ટાફ દ્વારા સન્ની મકવાણા વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી હતી.


