જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતી ગર્ભવતી યુવતીને ડિલેવરીનો સમય નજીક હોય તે દરમ્યાન અચાનક આંચકી ઉપડતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં જ્યાં તેણીનું મોત નિપજયાના બનાવમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં રહેતાં ચાંદનીબેન રમેશભાઇ પરમાર અને અમિતભાઇ હરિભાઇ બગડા નામના યુવા હૈયા બન્નેને પ્રેમ થઇ જતાં રાજીખુશીથી બન્ને સાથે રહેતાં હતાં. આ દરમ્યાન ચાંદનીબેન ગર્ભવતી થયા હતા. ચાંદનીબેનનો ડીલેવરીનો સમય નજીક હતો તે દરમ્યાન ગર્ભના કારણે અચાનક આંચકી ઉપડતા તબિયત લથડી ગઇ હતી. જેથી યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું સારવાર દરમ્યાન મોત નિપજયાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યું હતું. આ બનાવ અંગેની અમિતભાઇ દ્વારા જાણ કરવામાં આવતાં પીએસઆઇ એમ. એલ. ઓડેદરા તથા સ્ટાફએ હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


